ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે ઝડપથી ફેલાઈ રહ્યું છે તે જોઈને લાગી રહ્યું છે કે કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ દિવસોમાં બ્રાઝીલને પાછળ છોડીને ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દેશ બની જશે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સંક્રમિતોનો કુલ આંકડો 4023179 સુધી પહોંચી ગયો છે. એટલેકે ભારતમાં કોરોનાના કેસોએ 4 મિલિયનનો આંક વટાવી દીધો છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને 77.23 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 70072 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 3107223 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.
કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 69591 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 846395 એક્ટિવ કેસ છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 26608825 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 874359 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 26608825 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8026122 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.