ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કરેલી દરમિયાનગીરીને કારણે ભારત સરકાર નારાજ છે અને હવે બંને દેશના વચ્ચેના સંબંધોમાં સ્પષ્ટ અંતર જોવા મળી રહ્યું છે.
ભારત સરકારે શુક્રવારે જ દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનરને બોલાવીને ચેતવણી આપી હતી કે, કેનેડા અમારી આંતરિક બાબતોમાં દખલ કરવાનુ બંધ નહીં કરે તો બંને દેશના સબંધો પર અસર પડશે. હવે ભારતે તેના વલણ પર અમલ પણ કરવાનું શરૂ કર્યું છે. કોરોના અંગે કેનેડા દ્વારા બોલાવાયેલી એક બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે હાજરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. સમાચાર સૂત્રોના જણાવ્યા અહેવાલ પ્રમાણે ભારતે કેનેડાને જણાવ્યું છે કે, 7 ડિસેમ્બરે કેનેડાના ઓટાવામાં મળનારી આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર હાજર રહેશે નહીં. કેનેડાના વડાપ્રધાનની ખેડૂત આંદોલનની અંગેની ટિપ્પણી પછી કેનેડામાં વસતા પંજાબી સમૂદાયના લોકોએ ભારત સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા છે અને ભારતે જે ચિંતા વ્યક્ત કરી હતી તે સાચી પડી રહી છે. ભારત સામે કેનેડામાં વિરોધ પ્રદર્શનની તૈયારી ચાલી રહી છે અને સ્વાભાવિક છે કે, કેનેડા સરકાર પણ આવા દેખાવોનો સમર્થન આપી રહી છે.