
માર્ચ મહિનામાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે હીથ્રો એરપોર્ટ ઊભી થયેલી અભૂતપૂર્વ કટોકટીના મુદ્દે એમિરાટ્સ અને વર્જિન સહિતની એરલાઇન્સના વડાઓએ હિથ્રો એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ થોમ વૂડબાયની આકરી ટીકા કરી હતી. 21 માર્ચે મધ્યરાત્રિએ યુરોપના આ સૌથી વ્યસ્ત એરપોર્ટ નજીકના ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટ પર વીજળી ગુલ થઈ ગયા બાદ તમામ કામગીરી 20 કલાક સુધી સ્થગિત કરાઈ હતી અને લાખ્ખો મુસાફરો ફસાઈ ગયાં હતાં.
ગયા અઠવાડિયે એવું બહાર આવ્યું હતું કે હીથ્રો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઘરે સૂઈ રહ્યાં હતાં, અને તેમના સાથીદારો તેમનો સંપર્ક કરી શક્યા ન હતાં કારણ કે તેમનો ફોન સાયલન્ટ હતો. થોમસ વુડબાયનો ફોન તેમના બેડસાઇડ ટેબલ પર હતો, પરંતુ તે ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં કરાયો હતો. તેનાથી સ્ટાફ દ્વારા તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
એમિરાતના પ્રેસિડન્ટ સર ટિમ ક્લાર્કે કહ્યું હતું સૌથી મોટી ચિંતા એ હતી કે તેઓ નિષ્ફળ ગયા હતાં. તેમને ખરેખર શું બન્યું છે તેની જ ખબર ન હતી. કોઈને ખરેખર કોઈ ખ્યાલ નહોતો, તે આઘાતજનક છે. આ ઉપરાંત કોઇ વૈકલ્પિક વીજળી પુરવઠાની વ્યવસ્થા ન હતી.
વર્જિન એટલાન્ટિકના ચીફ એક્ઝિક્યુટિવ શાઈ વેઈસે જણાવ્યું હતું કે તેઓ પાવર કટને કારણે થયેલા નુકસાન માટે “તેમનું બિલ મોકલશે”. તપાસમાં જાણવા મળ્યું કે “એરપોર્ટના અમુર ભાગો થોડા વહેલા ખોલવાની તકો હતી.
