જાણીતા દિગ્દર્શક નિતેશ તિવારીની નિર્માણાધિન ફિલ્મ ‘રામાયણ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ આવતા વર્ષે અને બીજો ભાગ 2027માં રિલીઝ થશે એવી માહિતી ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર જણાવી હતી.
હાલમાં આ ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. આ ફિલ્મ વાલ્મિકી રામાયણ પર આધારિત છે, જેમાં રામ અને રાવણની વાર્તાઓ અલગ-અલગ ચાલે છે અને અંતે યુદ્ધ દરમ્યાન જ બન્નેનો સામનો થાય છે. તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મના પ્રથમ પ્રોમોને મંજૂરી આપી દીધી છે. બે મિનિટ 36 સેકન્ડનો આ પ્રોમો ‘યુ’ સર્ટિફિકેટ સાથે મુંબઈની પ્રાદેશિક કચેરીમાંથી પાસ થયો છે.
તાજેતરમાં આ ફિલ્મની મોટી સ્ટારકાસ્ટ સાથે જોડાયેલી નવી માહિતી બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મમાં કયા કલાકાર કોની ભૂમિકા ભજવી રહ્યા છે જાણવા મળ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ ફિલ્મનું બજેટ અંદાજે રૂપિયા 835 કરોડ છે. ‘રામાયણ’માં રણબીર કપૂર રામના રોલમાં અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ માહિતી ખૂબ પહેલા જાહેર થઈ ચુકી છે, પરંતુ અન્ય કલાકારોના પાત્રો હવે જાહેર થયા છે.
જેમાં અભિતાભ બચ્ચન જટાયુના પાત્રમાં જોવા મળશે એવું કહેવાય છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મના અભિનેતા યશ રાવણનો રોલ પ્લે કરશે. જ્યારે સની દેઓલ આ ફિલ્મમાં હનુમાનનો કિરદાર નિભાવશે. અરુણ ગોવિલ ફિલ્મ રામાયણમાં રાજા દશરથની ભૂમિકા ભજવશે અને ટીવી અભિનેતા રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે.
અભિનેત્રી ઈન્દિરા કૃષ્ણન કૌશલ્યાના રોલમાં અને લારા દત્તા કૈકઈની ભૂમિકામાં જોવા મળી શકે છે. આદિનાથ કોઠારે ભરતની ભૂમિકામાં અને શીબા ચડ્ઢા મંથરાનો રોલમાં જોવા મળશે. બોબી દેઓલ કુંભકર્ણ, વિજય સેતુપતિ વિભિષણનું પાત્ર ભજવશે. વિક્રાંત મેસી મેઘનાદ અને રકુલપ્રીત સિંહ શૂર્પણખા બનશે. કાજલ અગ્રવાલ રાણી મંદોદરી અને મોહિત રૈના ભગવાન શિવના રોલમાં જોવા મળશે. કુણાલ કપૂર ભગવાન ઈન્દ્રના અને વિવેક ઓબેરોય વિદ્યુતજિહ્વા (શૂર્પણખાનો પતિ)ની ભૂમિકામાં જોવા મળશે.
