
પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળની અમેરિકા-ઈરાન વચ્ચેની સીધી શાંતિ મંત્રણા શનિવારે (૧૧ એપ્રિલ) નિષ્ફળ રહી હતી. યુદ્ધનો અંત લાવવા માટે 21 કલાક ચાલેલી વાટાઘાટો નિષ્ફળ જવા માટે બંને દેશોએ એકબીજા પર દોષારોપણ કર્યું હતું. યુએસ અને ઈરાની પ્રતિનિધિમંડળો સ્વદેશ પરત ફરવા માટે ઇસ્લામાબાદથી રવાના થઈ ગયા હોવાના પણ અહેવાલ મળ્યાં હતાં. ઈરાને લેબનોનમાં યુદ્ધવિરામ, યુદ્ધમાં નુકસાનનું વળતર અને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણની માગણી કરી હતી.
વોશિંગ્ટન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું હતું કે આ ઈરાન માટે ખરાબ સમાચાર છે અને તેમની ટીમ અંતિમ અને શ્રેષ્ઠ ઓફર રજૂ કર્યા પછી જઈ રહી છે.
ખાનગી વાટાઘાટો પછી વાન્સે વિગતો આપી ન હતી, પરંતુ ઉલ્લેખ કર્યો હતો કે મુખ્ય વિવાદ પરમાણુ શસ્ત્રો પર હતો. સાદી વાત એ છે કે અમે એક હકારાત્મક પ્રતિબદ્ધતા ઇચ્છતા હતાં કે ઇરાન પરમાણુ હથિયાર બનાવશે નહીં અને તેઓ એવા સાધનો નહીં શોધે જે તેમને ઝડપથી પરમાણુ હથિયાર પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે. તે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું મુખ્ય લક્ષ્ય છે અને તે જ તેમણે વાટાઘાટો દ્વારા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
દિવસભર ચાલેલી વાટાઘાટો દરમિયાન ઈરાનની જપ્ત સંપત્તિઓ પર ચર્ચા થઈ હતી કે કેમ તે અંગે પત્રકારના પ્રશ્નના જવાબમાં વાન્સે કહ્યું હતું કે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, પરંતુ અમે એવી પરિસ્થિતિમાં પહોંચી શક્યા નહીં, જ્યાં ઈરાનીઓ અમારી શરતો સ્વીકારવા તૈયાર હોય. ઈરાનના ન્યૂઝ નેટવર્ક પ્રેસ ટીવીના અહેવાલ મુજબ હોર્મુઝ સ્ટ્રેટ સહિત વિવિધ મુદ્દાઓને કારણે મડાગાંઠ સર્જાઈ હતી.
ઈરાનની સરકારી ટીવી ચેનલ IRIBએ રવિવારે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં યુદ્ધનો અંત લાવવાના હેતુથી ઈસ્લામાબાદમાં થયેલી વાટાઘાટોમાં મડાગાંઠ માટે અમેરિકાની ગેરવાજબી માંગણીઓ જવાબદાર હતી. તેથી વાટાઘાટાનો અંત આવ્યો હતો.
મધ્ય એશિયામાં યુદ્ધવિરામના ચાર દિવસ પછી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે વેન્સના વડપણ હેઠળના યુએસ પ્રતિનિધિમંડળ અને ઇરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે રૂબરુમાં ઐતિહાસિક મંત્રણા ચાલુ થઈ હતી. 1979ની ઇરાનની ઇસ્લામિક ક્રાંતિ પછી બંને દેશો વચ્ચે પ્રથમ સીધી અને ઉચ્ચસ્તરીય મંત્રણા હતી.
ઇસ્લામાબાદમાં ત્રિપક્ષીય વાટાઘાટો પહેલા વાન્સની આગેવાની હેઠળની યુએસ ટીમ અને ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફના નેતૃત્વ હેઠળના ઈરાની પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી. પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાને શરીફે બંને પ્રતિનિધિમંડળો સાથે અલગ-અલગ બેઠકો કર્યા પછી ઈરાન અને અમેરિકા વચ્ચે સીધી વાટાઘાટોના ઔપચારિક રાઉન્ડનો સત્તાવાર પ્રારંભ થયો હતો.
અમેરિકી પ્રતિનિધિમંડળમાં વાઇસ પ્રેસિડન્ડ વેન્સ ઉપરાંત વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરનો સમાવેશ થતો હતો. યુએસ પ્રતિનિધિમંડળમાં પ્રેસિડન્ટના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એન્ડ્રુ બેકર અને એશિયન બાબતો માટે વાઇસ પ્રેસિડન્ટના ખાસ સલાહકાર માઈકલ વેન્સનો પણ સમાવેશ થતો હતો. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર વિવિધ વિષયોના અમેરિકન નિષ્ણાતો પણ ઇસ્લામાબાદમાં હાજર હતાં.
ગાલિબાફના નેતૃત્વ હેઠળના ઈરાની પ્રતિનિધિમંડળમાં વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી, સુપ્રીમ નેશનલ ડિફેન્સ કાઉન્સિલના સેક્રેટરી અલી અકબર અહમદિયન અને સેન્ટ્રલ બેંકના ગવર્નર અબ્દોલનાસર હેમ્માતીનો સમાવેશ થાય હતો.
યુદ્ધવિરામ પછી પણ લેબનોન પર ઇઝરાયલના ભીષણ હવાઇ હુમલાઓના હુમલામાં 300થી વધુ લોકોના મોતને કારણે યુદ્ધવિરામ અને આ વાટાઘાટો અંગે પણ અનિશ્ચિતતા ઊભી થઈ હતી. તહેરાને દાવો કર્યો હતો કે ઇઝરાયેલના આ હુમલા યુદ્ધવિરામ સમજૂતીની શરતોનું ઉલ્લંઘન કરે છે. જોકે અમેરિકા અને ઇઝરાયલે કહ્યું હતું કે લેબનોન આ કરારનો ભાગ નથી.
અગાઉ નૂર ખાન એરબેઝ પર નાયબ વડા પ્રધાન ઇશાક ડાર, આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને ગૃહ પ્રધાન મોહસીન રઝા નકવીએ બંને પ્રતિનિધિમંડળોનું સ્વાગત કર્યું હતું.














