વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રજોગ સંબોધન કરતા દેશના તમામ લોકોનો કોરોના વિરુદ્ધની જંગમાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કેટલાક લોકોને જમવાની તકલીફ પડી છે તો કેટલાકને બહાર જવાની મુશ્કેલી પડી છે. દેશમાં કોરોના મહામારી વચ્ચે એકતાનો પરચો આપીને સહકાર આપવા બદલ હું દેશના તમામ સૈનિકોનો આભાર માનું છું.

દેશમાં હજુ પણ કોરોનાની સ્થિતિ ગંભીર જણાઈ રહી હોવાથી દેશમાં 3 મે સુધી લોકડાઉન અમલી રહેશે. લોકડાઉન 2.0નો ગાળો વધુ પડકારજનક રહેશે. દેશમાં હોટસ્પોટ વિસ્તારોમાં વધુ ચુસ્ત રીતે પગલાં લેવાશે. કોરોના વિરુદ્ધ આ સ્થળો પર કડક પગલાં લેવાશે અને 20 એપ્રિલ સુધી દરેક જિલ્લા, વિસ્તારોની ઝિણવટપૂર્વક તપાસ થશે.

આ ક્ષેત્રોએ કોરોના વાયરસથી બચવા કેવા પગલાં લીધે છે તેની ચકાસણી થશે અને તેમાં કેટલા સફળ થયા તેના આધારે જો કોઈ હોટસ્પોટને વધુ વધવા નહીં દે અને હોટસ્પોટમાં વધારો થવાનું અટકશે તો તેવા વિસ્તારોમાં 20 એપ્રિલથી કેટલીક શરતી છૂટછાટ અપાશે. બહાર નિકળવા માટે શરતી મંજૂરી હશે અને લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન થતું જણાશે તો આ વિસ્તારોને મળેલી છૂટ પરત લઈ લેવાશે.

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉપર પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત દેશના વિવિધ પ્રાંતમાં ભીન્ન ભીન્ન તહેવારોની પણ શરૂઆત થઈ રહી છે ત્યારે તેમણે લોકોને આગામી તહેવારોની પણ શુભકામના પાઠવી હતી.

કોરોનાનો દેશમાં એકપણ કેસ નહતો ત્યારે ભારતે એરપોર્ટ પર દેશ વિદેશના પ્રવાસીઓના સ્ક્રિનિંગની સેવા શરૂ કરી દીધી હતી. દેશમાં કોરોનાના 100 કેસ હતા ત્યારે ભારતે વિદેશથી આવતા દેશવાસીઓને ફરજિયાત 14 દિવસ સુધી ક્વોરોન્ટાઈનમાં રહેવા આદેશ આપી દીધો હતો. 500થી વધુ કેસો નોંધાયા ત્યારે ભારતે 21 દિવસના લોકડાઉનને લાગુ કરવા આદેશ કરી દીધો હતો.

ભારતે ક્યારેય સમયનો વિલંબ નથી કર્યો અને રાહ જોયા વગર જ સમય પહેલા પગલાં લીધા છે. જો કે સ્થિતિ સાધારણ નથી. વિશ્વમાં અન્ય વિકસીત દેશોની તુલનાએ ભારત આજે વધુ સારી સ્થિતિમાં છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. મહિના અને દોઢ મહિના અગાઉ કેટલાય દેશો કોરોના સંક્રમણની બાબતમાં ભારતની સમકક્ષ હતા.

આજે એ દેશોમાં કોરોનાના કેસો આપણા કરતા 25-30 ટકા વધી ગયા છે. હજારો લોકોના દુઃખદ નિધન થયા છે. ભારતે હોલિસ્ટિક એપ્રોચ ના અપનાવ્યો હોત, ઈન્ટિગ્રેટેડ એપ્રોચ અપનાવ્યો હોત અને સમયસર ઝડપી નિર્ણયો ના લીધા હોત તો ભારતની સ્થિતિ શું હોત તે અંગે વિચારીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. આપણે જે પગલાં લીધે છે તે જ પ્રવર્તમાન સમયે આપણા માટે યોગ્ય છે.

સોશિયલ ડિસન્ટન્સિંગ અને લોકડાઉનના પગલાં આપણા માટે ખૂબ જ ઉપયોગી નિવડ્યા છે. આર્થિક અને અર્થતંત્રની દ્રષ્ટિએ તે ફટકા સમાન છે પરંતુ ભારતીયોની જિંદગી સામે તે સુક્ષ્મ છે. દેશની રાજ્ય સરકારો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ જવાબદારીપૂર્વક કામગીરી કરી છે. 24 કલાક તમામ લોકોએ પોતાની જવાબદારી નિભાવી છે અને પરિસ્થિતિને નિયંત્રિત રાખી છે.

કોરોના જે ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનાથી વિશ્વભરના હેલ્થ એક્સપર્ટ્સ અને સરકારો સતર્ક થયા છે. ભારતમાં હવે પછીની કોરોનાની લડાઈ કેવી રીતે લડવી. લોકોની મુશ્કેલી કેવી રીતે ઓછી કરવી. આ માટે રાજ્યો સાથે સતત ચર્ચા કરાઈ રહી છે. સરકાર તમામ કોરોના વોરિયર્સની પડખે છે અને લોકોએ પણ તેમને સહકાર આપવો જોઈએ તેવી અપીલ પીએમ મોદીએ તેમના સંબોધનમાં કરી હતી.