(@trishakticorps via PTI Photo)

ભારતના ઉત્તરપૂર્વના રાજ્યોમાં છેલ્લા ચાર દિવસમાં ભારે પૂરને કારણે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 34 લોકોનાં મોત થયા હતાં. હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી પણ કરી હતી. સોમવારે સિક્કિમના છટેન ખાતે મિલિટરી કેમ્પ પર ભૂસ્ખલન થતાં ત્રણ સૈનિકોના મોત થયા હતાં અને છ સૈનિકો ગુમ થયા હતાં.

સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રદેશમાં ભારે અને સતત વરસાદને કારણે એક વિનાશક ભૂસ્ખલન થયું હતું, જેમાં ત્રણ સૈનિકોના મોત થયા હતાં, જેમની ઓળખ હવાલદાર લખવિંદર સિંહ, લાન્સ નાયક મુનીશ ઠાકુર અને પોર્ટર અભિષેક લખડા તરીકે થઈ હતી. સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે ચાર અન્ય સૈનિકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. ગુમ થયેલા છ કર્મચારીઓને શોધવા માટે બચાવ ટીમો પડકારજનક પરિસ્થિતિઓમાં દિવસ-રાત કામ કરી રહી છે. સંરક્ષણ અધિકારીએ ઉમેર્યું કે, સેનાએ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તમામ જરૂરી સહાયની ખાતરી આપી છે.

સોમવારે હિમાલયના રાજ્ય સિક્કિમમાં ફસાયેલા એક હજારથી વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 500થી વધુ લોકોને બચાવવા માટે મેઘાલય રાજ્યમાં સેનાની બચાવ ટીમોને સેવામાં તૈનાત કરાઈ હતી. આસામના સિલચર શહેરમાં રસ્તાઓ અને ઘરો પાણીમાં ડૂબી ગયા હતાં, અને રસ્તાઓ પર અનેક વૃક્ષો ધરાશાયી થઈ હતી.

LEAVE A REPLY