ગુજરાતના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં ઉડ્ડયન અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આંતર પ્રાદેશિક હવાઈ સેવા પૂરી પાડવા રાજ્ય સરકારેનું મહત્વનું પગલું ભરી અમદાવાદ અને સુરતથી પાંચ નવી હવાઇ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર અમદાવાદ-ભુજ-અમદાવાદ, સુરત-ભાવનગર-સુરત, સુરત-અમરેલી-સુરત, સુરત-રાજકોટ-સુરત, સુરત-અમદાવાદ-સુરત માટે શરૂ થનાર હવાઇ સેવાઓ માટે મહત્તમ રૂા.૩૫૦૦ થી ૫૦૦૦ રૂા. ટીકીટનો દર નિયત કરાયો છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને લોકોને સૌથી ઝડપી અને આર્થિક પરિવહન સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રવાસન સ્થળો તેમજ નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવા માટે પ્રાદેશિક હવાઈ જોડાણ શરૂ કરવાનું આયોજન કર્યુ છે. ઉડ્ડયન વિભાગ રાજ્યના નાગરિકોને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ સારી કનેક્ટીવીટી, સુવિધાસહ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે અને ગુજરાતના શહેરોને જોડવા માટે રાજ્યની VGF યોજના હેઠળ શરૂ કરવાનો નિર્ણય લઇ મંજુરી આપી છે. જેમાં અમદાવાદ-ભુજ-અમદાવાદ માટે ૫૦ સીટરની વિમાની સુવિધા, સુરત-ભાવનગર-સુરત માટે ૦૯ સીટરની, સુરત-અમરેલી-સુરત માટે ૦૯ સીટની, સુરત-રાજકોટ-સુરત માટે ૦૯ સીટર તથા સુરત-અમદાવાદ-સુરત ૦૯ સીટરની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે.
તેમણે ઉમેર્યુ કે, આ ફ્લાઇટો નાગરિકો માટે વધુ સુગમ સમયે વ્યાજબી દરે શરૂ કરાશે. આ બધા રૂટ Tier -2 અને Tier-3 શહેરોને હવાઇ જોડાણ પુરુ પાડી શકાશે. રાજ્ય સરકાર દ્વારા Tier-3 શહેરોને Tier-4 શહેરો સાથે થી હવાઇ સેવા આગામી સમયમાં શરૂ કરવાનું આયોજન છે. આ બાબતને ધ્યાનમાં લેતા, હાલમાં રાજ્ય રાજ્યમાં ભારત સરકારની RCS- ઉડાન યોજના અને રાજ્યની યોજનાઓ હેઠળ ૧૦ એરપોર્ટ અને ૨૦ રૂટ સંચાલન થઇ જશે. આ સેવા હેઠળ ટિકિટનો દર રૂટના સમયગાળા મુજબ મહત્તમ દર રૂ. ૩,૫૦૦/- થી રૂ. ૫,૦૦૦/- સુધી રહેશે. રાજ્યના નાગરિકોને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા આમંત્રણ છે.
મોદીએ વધુમાં કહ્યું કે, આ સેવા સ્થાનિક લોકો માટે વિવિધ એરપોર્ટ પર રોજગારીનું સર્જન કરશે અને વિવિધ સ્થળોની સ્થાનિક અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને મુસાફરી સરળ અને ઝડપી બનશે. “ગુજરાત અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે અને અગ્રણી ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓ વારંવાર અમદાવાદથી સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છની મુસાફરી કરે છે. પ્રાદેશિક એરલાઇનની હાજરીથી તેમનો સમય બચશે અને પ્રવાસીઓ ઓછા સમયમાં તેમનું વ્યવસાયિક કાર્ય સમયસર પૂર્ણ કરી શકશે.