
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાઝ દરમિયાન શિયા મસ્જિદમાં થયેલા આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 69 લોકોના મોત થયાં હતાં અને 169થી વધુ ઘાયલ થયાં હતાં. શહેરના શહેઝાદ ટાઉન વિસ્તારમાં આવેલા તરલાઈ ઇમામબારગાહમાં આત્મઘાતી બોમ્બરે આ હુમલો કર્યો હતો. વિસ્ફોટને પગલે ઇસ્લામાબાદ પોલીસ મહાનિરીક્ષકે શહેરમાં કટોકટી જાહેર કરી હતી.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર બપોરના સમયે એક આત્મઘાતી બોમ્બરે શિયા મસ્જિદના મુખ્ય દરવાજા નજીક આ હુમલો કર્યો હતો. એલર્ટ સુરક્ષા જવાનોએ હુમલાખોરને પ્રવેશદ્વાર પર અટકાવી મુખ્ય હોલમાં પ્રવેશતા અટકાવ્યો હતો.
વિસ્ફોટ સ્થળના વીડીયો ફૂટેજમાં જોવા મળ્યું હતું કે વિસ્ફોટથી ગેટના માળખાને ભારે નુકસાન થયું હતું અને નજીકની ઇમારતોની બારીઓ તૂટી ગઈ હતી અને રસ્તા પર કાટમાળ પથરાયેલો હતો. વીડીયોમાં મૃતદેહો અને ક્ષત-વિક્ષત માનવ અંગો વિખેરાયેલા પડેલા દેખાય છે. ઘાયલોને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) અને પોલીક્લીનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી હતી.
પાકિસ્તાન પોતે ભારત સહિતના વિશ્વભરમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે અને આ ત્રાસવાદીઓ હવે પોતાને દેશને પણ ટાર્ગેટ કરી રહ્યાં છે. અગાઉ 11 નવેમ્બર, ૨૦૨૫ના રોજ ઇસ્લામાબાદમાં કોર્ટ ઇમારતની બહાર થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં બાર લોકોના મોત થયા હતાં અને ૩૦થી વધુ ઘાયલ થયાં હતાં.













