ધીમી આર્થિક વૃદ્ધિ અને વધતી બેરોજગારી અંગેની વધતી ચિંતાઓ વચ્ચે બેંક ઓફ ઈંગ્લેન્ડે તેના વ્યાજના દરો 3.75% જાળવી રાખીને આશ્ચર્યજનક નિર્ણય લીધો છે.
તા. 5ને ગુરુવારે જાહેર કરાયેલા આ નિર્ણયને બેંકની નવ સભ્યોની મોનેટરી પોલીસી કમીટી (MPC)ના 5 સભ્યોની બહુમતી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે ચાર સભ્યોએ તાત્કાલિક 0.25 ટકાનો ઘટાડો કરીને વ્યાજનો દર 3.50% કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ કટોકટ પરિણામથી એવી અપેક્ષાઓ જાગી છે કે આવતા મહિને વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે.
ગવર્નર એન્ડ્રુ બેઈલીએ જણાવ્યું હતું કે ‘’ફુગાવો હવે સ્પ્રિંગ સુધીમાં બેંકના 2%ના લક્ષ્યાંક સુધી પાછો ફરે તેવી અપેક્ષા છે, જે અગાઉની આગાહી કરતા એક વર્ષ વહેલો છે. તે સારા સમાચાર છે. જો ફુગાવો નિયંત્રણમાં રહેશે, તો આ વર્ષે બેંક દરમાં વધુ ઘટાડો કરવાની તક રહેશે.”
નવી આગાહીઓ સૂચવે છે કે આર્થિક વૃદ્ધિ અગાઉની અપેક્ષા કરતા નબળી રહેશે, જ્યારે બેરોજગારી વધવાની સંભાવના છે. જેના કારણે MPCનું ધ્યાન હઠીલા ફુગાવાથી ખસીને નોકરોના બજાર સામેના જોખમો તરફ જશે.
ફુગાવો હાલમાં 3.4% પર છે, જે 2022ના ઉર્જા સંકટ દરમિયાન પહોંચેલા 11%ના શિખરથી ઘણો નીચે છે પરંતુ હજુ પણ લક્ષ્યથી ઉપર છે. બેંકે જણાવ્યું હતું કે એપ્રિલ માસથી ડોમેસ્ટીક એનર્જી બિલ ઘટાડવા માટે ટેકો અપવા સહિત ચાન્સેલરે ઓટમ બજેટમાં જાહેર કરાયેલા પગલાં ભાવના દબાણને વધુ હળવું કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.
2023ના અંતમાં મોરગેજ પરના વ્યાજના દર 5.25% ઉપર પહોંચ્યા હતા જે હવે ધીમે ધીમે નીચે જઇ રહ્યા છે અને આગામી વર્ષોમાં વધુ નીચે જાય તેવી શક્યતાઓ છે.
ING ના જેમ્સ સ્મિથે કહ્યું કે હવે બધી નજર માર્ચની બેઠક પર રહેશે. જ્યારે EY આઇટમ ક્લબના મેટ સ્વાનેલે આ નિર્ણયને “અપેક્ષા કરતા વધુ નજીક” ગણાવી ઉમેર્યું છે કે જો આર્થિક ડેટા નબળો પડતો રહેશે તો તે “આગામી મહિને દર ઘટાડાનો દરવાજો સ્પષ્ટ રીતે ખોલશે.”













