National Police/Handout via REUTERS

યુક્રેનના ચેર્નિહાઇવ શહેર પર રશિયાના મિસાઇલ હુમલામાં સાત લોકોના મોત અને 150 લોકો ઘાયલ થયાના બીજા દિવસે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકીએ વળતો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

સ્વીડનની મુલાકાતના અંતે એક વીડિયો સંદેશમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે મને ખાતરી છે કે અમારા સૈનિકો આ આતંકવાદી હુમલા માટે રશિયાને વળતો જવાબ આપશે. જોરદાર જવાબ આપશે. નાટો સમિટમાં હાજરી આપ્યા પછી ઝેલેન્સ્કીની આ પ્રથમ વિદેશ યાત્રા હતી. તેમણે જણાવ્યું હતું કે રશિયાના હુમલામાં સોફિયા નામની છ વર્ષની બાળકીનું મોત થયું હતું અને બીજા 15 બાળકો ઘાયલ થયાં હતાં. રશિયાના લશ્કરી દળોએ રવિવારે સવારે કુપિયાન્સ્ક શહેરમાં પણ તોપમારો કર્યો હતો, જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી.

અમેરિકાએ યુક્રેનના હવાઇદળને એફ-16 ફાઇટર જેટ વિમાનો પહોંચાડવા માટે નેધરલેન્ડ અને ડેનમાર્કના  સત્તાવાળાઓને મંજૂરી આપી હોવાનું આપી હોવાના બે દિવસ પછી રવિવારે ઝેલેન્સ્કી નેધરલેન્ડ પહોંચ્યાં હતા. દક્ષિણના શહેર આઇન્ડહોવનમાં લશ્કરી હવાઈ મથક પર નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટ્ટે ઝેલેન્સકીને જણાવ્યું હતું કે નેધરલેન્ડ અને ડેનમાર્ક યુક્રેનને F-16 યુદ્ધ વિમાનો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ પડોશી બેલ્ગોરોડ પ્રદેશ પર બે ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યાં હતા. આ વિસ્તાર યુક્રેનની સરહદ પર છે. બેલ્ગોરોડના પ્રાદેશિક ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે જણાવ્યું હતું કે પ્રાદેશિક રાજધાની  બેલ્ગોરો પર હુમલો કરવા આવી રહેલા 12 ડ્રોનને તોડી પડાયા હતા. રશિયન એર ડિફેન્સે રવિવારે વહેલી સવારે મોસ્કો તરફ ઉડતા ડ્રોનને જામ કરી દીધું હતું જેના કારણે તે ક્રેશ થયું હતું.

LEAVE A REPLY

four × 1 =