સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતું ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાને છે. ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90 ટકા પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. તેના પ્રોસેસિંગના એકમો સિદ્ધપુર અને ઊંઝા ખાતે કાર્યરત છે. ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 25 જેટલા ઇસબગુલ પ્રોસેસિંગ યુનિટ્સ વિકસિત કરવામાં આવ્યા છે. ઇસબગુલ એ સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો ઔષધીય પાક છે અને ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનના 93 ટકા ઉત્પાદનની નિકાસ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, જેમાં અમેરિકા, ભારત પાસેથી સૌથી વધુ માત્રામાં ઇસબગુલ ખરીદે છે. ત્યાર પછી જર્મની, ઇટલી, યુકે અને કોરિયાનો સમાવેશ થાય છે. જોકે, વિશ્વના અનેક દેશોમાં ભારતમાંથી ઇસબગુલની નિકાસ કરવામાં આવે છે.

ગુજરાતમાં વર્ષ 2018-19માં રાજ્યમાં ઇસબગુલનો કુલ વાવેતર વિસ્તાર 6754 હેક્ટર અને કુલ ઉત્પાદન 6817 મેટ્રિક ટન હતો, તેની સામે વર્ષ 2022-23માં કુલ વાવેતર વિસ્તાર 13, 303 હેક્ટર અને કુલ ઉત્પાદન 12,952 મેટ્રિક ટન થયું છે. આમ, છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં ઇસબગુલનું વાવેતર વિસ્તાર અને તેનું ઉત્પાદન લગભગ બમણું થયું છે.
ગુજરાતમાં બનાસકાંઠામાં ઇસબગુલનું સૌથી વધુ એટલે કે 47 ટકા ઉત્પાદન થાય છે, ત્યારબાદ કચ્છમાં 34 ટકા, મહેસાણામાં 10 ટકા અને જૂનાગઢમાં 5 ટકા ઇસબગુલનું ઉત્પાદન થાય છે. આ સાથે ગુજરાતમાં ઇસબગુલના કુલ ઉત્પાદનના 96 ટકા ઉત્પાદન આ ચાર જિલ્લાઓમાં થાય છે.

ઊંઝાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે છેલ્લા પાંચ વર્ષોમાં ઇસબગુલની આવકમાં પણ વધારો થયો છે. વર્ષ 2018-19માં ઊંઝાની એપીએમસી ખાતે 65, 413 મેટ્રિક ટન ઇસબગુલની આવક હતી, જે વર્ષ 2022-23માં વધીને 87,050 મેટ્રિક ટન થઈ છે. ઉલ્લેખનીય છે કે ઊંઝાનું ગંજ બજાર એશિયાનું સૌથી મોટું ગંજ બજાર છે, જે ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના પાક માટે પ્રખ્યાત છે.

ઇસબગુલના બીજ શીતળતાના ગુણધર્મો ધરાવે છે અને તેનો ઉપયોગ આયુર્વેદિક, યુનાની અને એલોપથી ચિકિત્સાઓમાં કરવામાં આવે છે. તેના બીજ તથા તેની ભૂકીનો ઉપયોગ પાચનતંત્ર અને મૂત્રજનનતંત્રના શ્લેષ્મ આવરણોના સોજા દૂર કરવામાં તથા આંતરડાના ચાંદા, મસા અને ગોનોરીયાની સારવાર કરવા ઉપરાંત કોલેસ્ટેરોલ ઘટાડવા માટે કરી શકાય છે. ગર્ભપાત વખતે ગર્ભાશય તેમ જ યોનિમાર્ગના વિસ્તરણ માટે પણ તેનો ઉપયોગ કરવા અંગે તાજેતરમાં સંશોધન થયું છે. ઔષધીય ઉપયોગો ઉપરાંત તેનો ઉપયોગ રંગકામ, કાપડનું છાપકામ, આઈસ્ક્રીમ ઉદ્યોગ, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં પણ કરી શકાય તેમ છે. આ ઉપરાંત, ઇસબગુલના ભૂસીમુક્ત બીજમાં 17થી 19 ટકા પ્રોટીન હોય છે અને તેથી તેનો ઉપયોગ પશુ આહારમાં કરવામાં આવે છે.

ભારતમાંથી ઇસબગુલનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે, જે ભારતમાંથી થતી કુલ નિકાસનો લગભગ 75 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2022-23માં ભારતમાંથી અમેરિકામાં 19,666 મેટ્રિક ટન ઇસબગુલની નિકાસ કરવામાં આવી હતી, જેનું મૂલ્ય રૂ.1023.29 કરોડ છે. વર્ષ 2023-24 માટે પણ એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ક્વાર્ટરમાં રૂ.343.20 કરોડના મૂલ્યના 4931.70 મેટ્રિક ટન ઇસબગુલની અમેરિકામાં નિકાસ કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે ઇસબગુલની અમેરિકામાં ઘણી માગ છે.

ઇસબગુલની ઘણીબધી નવી પ્રોડક્ટ્સનો ઉપયોગ હવે અમેરિકાના રસોડાઓમાં પણ થવા લાગ્યો છે. ઓછા કાર્બોહાઇડ્રેટ્સવાળો ખોરાક ખાતા લોકો તેનો બાઇન્ડિંગ તરીકે ઉપયોગ કરે છે, રસોઇ દરમિયાન પાતળા સોસને થોડોક વધુ ઘટ્ટ બનાવવા માટે ઇસબગુલનો ઉપયોગ થાય છે, તો ગ્લુટન ફ્રી બેકર્સ બ્રેડ અને કેકના બેકિંગમાં તેનો ઉપયોગ કરે છે. અમેરિકામાં પાચનને સરળ બનાવવા અને ભૂખને કાબૂમાં રાખવા માટે પણ ઇસબગુલનો ઉપયોગ કરવામાં આવે છે.

 

LEAVE A REPLY

2 × four =