અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશનો મૃત્યુઆંક શનિવારે વધીને 278 થયો હતો. બીજી તરફ ડીએન પરીક્ષણ મારફત અત્યાર સુધી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી સહિત 31 મૃતકોની ઓળખ કરાઈ છે અને 12 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યાં છે. શનિવારે વિમાનની ટેઇલના કાટમાળને હટાવતા વધુ ત્રણ મૃતદેહ મળ્યાં હતાં. વિજય રૂપાણીના પાર્થિવ શરીરને ચાર્ટર્ડ વિમાન દ્વારા અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે. જયાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે અત્યાર સુધી ઓળખાયેલા મૃતકો ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ સ્થળોના હતાં.ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયા હોવાથી હોવાથી અધિકારીઓ ભયાનક દુર્ઘટનાના ભોગ બનેલા લોકોની ઓળખ સ્થાપિત કરવા માટે ડીએનએ પરીક્ષણો કરી રહ્યા છે. અત્યાર સુધી એકત્રીસ ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, અને 12 મૃતદેહો પહેલાથી જ સંબંધિત પરિવારોને સોંપવામાં આવ્યા છે. આ મૃતકો ઉદયપુર, વડોદરા, ખેડા, મહેસાણા, અમદાવાદ અને બોટાદ જિલ્લાના હતાં.
અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે પીડિતોના પરિવારો સાથે સંકલન કરવા માટે 230 જેટલી ટીમો બનાવવામાં આવી હતી.
