પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ પોતાની કલા અને વિવાદો માટે ઘણીવાર ચર્ચામાં રહે છે. જોકે, તેમણે કેનેડામાં એક અનોખી સિદ્ધિ મેળવી છે. દેશની ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટી (TMU)એ આ ગાયક-અભિનેતાને સમર્પિત એક કોર્સની જાહેરાત કરી છે, જે વિશ્વભરમાં તેમના સાંસ્કૃતિક અને સંગીતના પ્રભાવ અંગે સંશોધન કરશે. આ અંગેની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે દિલજીતને તેમની નવી ફિલ્મ ‘સરદાર જી 3’માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને લેવાના નિર્ણય મુદ્દે ભારતમાં તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિવાદના કારણે ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે કલાની સ્વતંત્રતા અંગે ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. આવી ઘટનાઓ દિલજીતના ભૂતકાળના વિવાદો સાથે, તેમની ખ્યાતિ, ઓળખ અને રાષ્ટ્રીય ભાવનાને આગળ વધારનાર તેમના વૈશ્વિક વ્યક્તિત્વની નકારાત્મક બાબતને ઉજાગર કરે છે.
TMU એક ઐતિહાસિક પગલારૂપે ધ ક્રિએટિવ સ્કૂલ 2026ના અંતમાં કોર્સ શરૂ કરશે, જેમાં પંજાબી સંગીત, દુનિયામાં વ્યાપેલી પોપ સંસ્કૃતિ અને વિદેશી તરીકેની ઓળખમાં દિલજીતના યોગદાનને ધ્યાનમાં લેવામાં આવશે. ટોરોન્ટોના NXNE ફેસ્ટિવલ દરમિયાન બિલબોર્ડ સમિટમાં જાહેર કરાયેલ, આ કોર્સમાં પ્રથમવાર કોઈ કેનેડિયન યુનિવર્સિટી કોઈ પંજાબી કલાકાર આધારિત શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કરી રહી છે. TMUના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચાર્લી વોલ-એન્ડ્રુઝે ‘વૈશ્વિક મંચ પર પંજાબી સંગીતના સાંસ્કૃતિક પ્રભાવ અને આર્થિક સંભાવના’ દર્શાવવામાં દિલજીતની ભૂમિકાનું મહત્ત્વ રજૂ કર્યું હતું. કેનેડિયન મીડિયાના રીપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, આ અભ્યાસક્રમમાં દિલજીતનું કામ સંસ્કૃતિઓ વચ્ચે કેવી રીતે સેતુરૂપ બની રહ્યું છે, તે કેવી રીતે સાઉથ એશિયન સમુદાયોને ગતિશીલ બનાવે છે અને સર્જનાત્મક ઉદ્યોગસાહસિકતાને કેવી રીતે પ્રોત્સાહન આપે છે તે અંગે સંશોધન કરવામાં આવશે.
