
ગેરકાયદેસર ઇમિગ્રેશન બ્રિટનને વિભાજીત કરી રહ્યું છે અને દેશને એકજૂથ કરવા માટે શરણાર્થીઓને કાયમી રહેઠાણ આપવા માટે 20 વર્ષ સુધીના લાંબા વેઇટિંગ પીરિયડ જેવા આકરા પગલાં લેવાની જરુર છે, એમ યુકેના ગૃહ પ્રધાન શબાના મહેમૂદે રવિવારે જણાવ્યું હતું. ગૃહપ્રધાન સોમવારે આવા ઇમિગ્રન્ટ્સ સામે આકરા પગલાંની સંસદમાં જાહેરાત કરશે
સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં નિર્ધારિત નિવેદન પહેલાં મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન દક્ષિણ એશિયન મૂળના આ કેબિનેટ પ્રધાને દેશની તૂટેલી શરણાર્થી સિસ્ટમમાં સુધારો કરવાની બાબતને પોતાનું એક નૈતિક મિશન ગણાવ્યું હતું.
‘ધ સન્ડે ટાઈમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં મહેમૂદે જણાવ્યું હતું કે ગેરકાયદેસર સ્થળાંતર આપણા દેશને તોડી રહ્યું છે. લેબર સરકાર તરીકે આપણું કામ દેશને એકજૂથ કરવાનું. જો આપણે આનો ઉકેલ નહીં લાવીએ, તો મને લાગે છે કે આપણો દેશ વધુ વિભાજિત થઈ જશે. ગેરકાયદેસર સ્થળાંતર દેશભરના સમુદાયોમાં ધ્રુવીકરણ કરી રહ્યું છે. તે લોકોને વિભાજીત કરી રહ્યું છે અને તેમને એકબીજાથી દૂર કરી રહ્યું છે. હું મૂકપ્રેક્ષક બની રહીને મારા દેશમાં આવું થતું જોવા માગતી નથી.
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામેના આકરા પગલાંને જાતિવાદી માનવામાં આવતા હોવાના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે હું તેનો સંપૂર્ણપણે અસ્વીકાર કરું છું. હું ઇમિગ્રન્ટ્સનું બાળક છું. મારા માતા-પિતા 60ના દાયકાના અંતમાં અને 70ના દાયકાની શરૂઆતમાં કાયદેસર રીતે આ દેશમાં આવ્યા હતાં. આ મારા માટે એક નૈતિક મિશન છે.
મહેમૂદ સંસદમાં આ અંગે સંખ્યાબંધ પગલાંની જાહેરાત કરશે, જેમાં શરણાર્થી દરજ્જાને અસ્થાયી બનાવવાના, વતન દેશ સુરક્ષિત બને ત્યારે તેમને તાત્કાલિક ઘરે જવા માટે મજબૂરના કરવાના તથા દર 30 મહિને શરણાર્થી દરજ્જાની સમીક્ષા કરવાનો સમાવેશ થાય છે.
યુકેની હાલની સિસ્ટમ હેઠળ શરણાર્થીઓ પાંચ વર્ષ પછી કાયમી રહેઠાણ અથવા અનિશ્ચિત સમય સુધી રહેવાની પરવાનગી (ILR) માટે અરજી કરી શકે છે. તેનાથી સરકારી લાભો અને આખરે નાગરિકતાનો માર્ગ મોકળો થાય છે.











