
1997માં આવેલી દિગ્દર્શક જે.પી. દત્તાની સુપરહિટ ફિલ્મ ‘બોર્ડર’ પછી તેની સીક્વલ ફિલ્મ ‘બોર્ડર 2’ તાજેતરમાં રિલીઝ થઈ છે. અનુરાગ સિંહના દિગ્દર્શનમાં નિર્મિત આ ફિલ્મનો વ્યાપ ઘણો મોટો છે. આ ફિલ્મની કહાની તેની મૂળ ફિલ્મ- બોર્ડરની જેમ જ 1971ની ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે.
પરંતુ આ ફિલ્મમાં કહાની ત્રણ નવા દૃષ્ટિકોણથી આગળ વધે છે. ઇન્ડિયન આર્મીના મેજર હોશિયાર સિંઘ દહિયા-વરુણ ધવન, ઇન્ડિયન નેવીના લેફ્ટેનન્ટ કમાન્ડર એમ. એસ. રાવત-અહાન શેટ્ટી અને ઇન્ડિયન ઓફિસરના ફ્લાઈટ ઓફિસર નિર્મલજીત સિંઘ-દિલજીત દોસાંઝ, સાથે તેમના સીનિયર લેફ્ટેનન્ટ કર્નલ ફતેહસિંઘ કલેર-સન્ની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મની કહાનીમાં સૈનિકોના અંગત જીવન અને તેમના પરિવારોની લાગણીને રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં મેજર હોશિયાર સિંઘ દહિયા, ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સેખોં અને લેફ્ટેનન્ટ કમાન્ડર એમ. એસ. રાવત વચ્ચેનો સંબંધ ટ્રેનિંગના દરમિયાન કેવી રીતે ગાઢ બને છે તે દર્શાવવામાં આવ્યું છે.
બીજી તરફ, મોના સિંહ, સોનમ બાજવા અને મેધા રાણા જેવી અભિનેત્રીઓએ સૈનિકોની પત્નીઓની નાની પણ પ્રભાવશાળી ભૂમિકા ભજવીને સંઘર્ષની બીજી બાજુ રજૂ કરી છે. અન્ય ફિલ્મોની જેમ બોર્ડર-2માં પણ દેશભક્તિ અને પાકિસ્તાન પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે.
મૂળ ફિલ્મના જાણીતા ગીતોના નવા સ્વરૂપ અને સન્નીના યાદગાર દૃશ્યો દર્શકોને જૂની યાદો તાજી કરાવે છે. વરુણ ધવનની હરિયાણવી બોલી અને સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીનો ઉત્સાહ ફિલ્મમાં અસરકારક છે, તો પાયલટ તરીકે દિલજીત દોસાંજે ખૂબ જ પ્રભાવશાળી અભિનય કર્યો છે. 2026ની બોલીવૂડની પ્રથમ મોટી ફિલ્મ તરીકે રિલીઝ કરવામાં આવેલી બોર્ડર-2 અપેક્ષા મુજબ આગળ વધી રહી છે. એડવાન્સ બુકિંગના આધારે આ ફિલ્મે પ્રથમ દિવસે જ રૂ. 12.5 કરોડનો બિઝનેસ નોંધાવ્યો હતો અને ભારતભરમાં ચાર લાખથી વધુ ટિકિટો વેચાઈ હતી. આ આંકડો ગત વર્ષની સૌથી મોટી હિટ ધુરંધર કરતાં પણ વધારે હતો.











