
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)ના બળવાખોરો અને સુરક્ષા દળો વચ્ચેના 40 કલાકના ખુંખાર જંગમાં ઓછામાં ઓછા 145 બળવાખોરો અને 17 સુરક્ષા જવાનોના મોત થયાં હતાં. બલૂચ બળવાખોરોએ કરેલા શ્રેણીબદ્ધ બોંબ ધડાકામાં ઓછામાં ઓછા 50 લોકોના પણ મોત થયાં હતાં. બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાના 200 સુરક્ષા જવાનોના મોત થયાં હોવાની અને 18ને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો.
બલૂચિસ્તાનના મુખ્યપ્રધાન સરફરાઝ બુગતીએ ક્વેટામાં પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે તમામ 145 બળવાખોરોના મૃતદેહો સત્તાવાળાની કસ્ટડીમાં છે અને ઓળખ પ્રક્રિયા ચાલુ છે. આ પ્રાંતમાં સુરક્ષા દળોએ કરેલી કાર્યવાહીમાં બે દિવસમાં સૌથી વધુ સંખ્યામાં બળવાખોરોનો મોત થયાં હતાં. ક્વેટા, સિબી, ગ્વાદર, નોશકી, પાસની વગેરે સહિત વિવિધ સ્થળોએ કાર્યવાહીમાં 17 જવાનો શહીદ થયાં હતાં.
અગાઉ પાકિસ્તાન આર્મીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોની ત્રાસવાદી વિરોધી કાર્યવાહીમાં 15 સૈનિકો અને 92 બળવાખોરોના મોત થયા હતાં. આતંકવાદીઓએ ક્વેટા, મસ્તુંગ, નુશ્કી, દાલબંદીન, ખારાન, પંજગુર, ટુમ્પ, ગ્વાદર અને પાસનીમાં અને તેની આસપાસ આતંકવાદી પ્રવૃત્તિઓ કરીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. બળવાખોરોએ નાગરિકોને પણ નિશાન બનાવ્યાં હતાં, જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને મજૂરો સહિત 18 લોકોના મોત થયાં હતાં.
બુગતીએ જણાવ્યું હતું કે પાસની અને ક્વેટામાં આતંકવાદીઓએ બે મહિલા બોમ્બરોનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનના ગૃહમંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે શનિવારે સામાન્ય નાગરિકોના વેશમાં આવેલા હુમલાખોરોએ હોસ્પિટલો, શાળાઓ, બેંકો અને બજારોમાં ઘુસીને ગોળીબાર શરૂ કર્યો હતો. પ્રતિબંધિત અલગતાવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેને હેરોફ (બ્લેક સ્ટોર્મ) નામનું એક ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં સમગ્ર પ્રાંતમાં સુરક્ષા દળોને નિશાન બનાવાયા હતાં.
પાકિસ્તાનના સૌથી મોટો અને ગરીબ પ્રાંત બલુચિસ્તાન સ્વતંત્રતા માટે વંશીય બલુચ અલગતાવાદીઓના નેતૃત્વમાં દાયકાઓથી લડાઈ ચાલે છે.
પાકિસ્તાનની આર્મીએ શનિવારે દાવો કર્યો હતો કે આ હુમલાઓ ભારત-પ્રાયોજિત આતંકવાદીઓએ કર્યા હતાં. ભારતે રવિવારે આ દાવાને નકારી કાઢ્યો હતો અને ઇસ્લામાબાદ પર પોતાની આંતરિક સમસ્યાઓ પરથી ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો હતો.
BLA પ્રવક્તા જીયાંદ બલોચે જણાવ્યું હતું કે તેના લડવૈયાઓએ ખારન, મસ્તુંગ, ટુમ્પ અને પાસની સહિતના વિસ્તારોમાં ઓપરેશન પુરું કર્યું છે અને અન્ય સ્થળોએ લડાઈ સક્રિય છે. જૂથે એવો પણ દાવો કર્યો હતો કે તેના લડવૈયાઓ ક્વેટા અને નોશ્કીના કેટલાંક વિસ્તારોમાં હાજર છે અને ઇસ્લામાબાદના સૈનિકોને ભગાડી દેવામાં આવ્યાં છે. BLAના દાવા મુજબ પાકિસ્તાની સેના, પોલીસ અને ફ્રન્ટિયર કોર્પ્સના 200થી વધુ કર્મચારીઓ માર્યા ગયા છે.











