પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત અને અમેરિકા વચ્ચે સોમવાર, 2 ફેબ્રુઆરીએ જાહેર થયેલી ટ્રેડ ડીલને ભારતના ઉદ્યોગ જગતે એકસૂરે વધાવી લઇને જણાવ્યું હતું કે તેનાથી પડોશી દેશોની સરખામણીમાં અમેરિકાના બજારોમાં ભારતીય પ્રોડક્ટ્સને સ્પર્ધાત્મક ધાર મળશે. આનાથી વેપાર અંગે લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો પણ અંત આવશે. આ સમજૂતીથી ટેક્સટાઇલ્સ, એપેરલ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર, એન્જિનિયરિંગ ગૂડ્સ જેવા શ્રમપ્રધાન ક્ષેત્રોની નિકાસને વેગ મળશે.

ભારતી એન્ટરપ્રાઇઝના સુનિલ મિત્તલથી લઈને આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા અને મહિન્દ્રા ગ્રુપના અનિશ શાહ સુધીના કોર્પોરેટ વડાઓએ આ સીમાચિહ્નરૂપ કરાર પર દ્વિપક્ષીય વેપાર અને રોકાણના પરિદૃશ્યમાં પરિવર્તન લાવવાનો ગણાવ્યો હતો.

ભારતીય ઉદ્યોગ મહામંડળના (સીઆઇઆઇ)ના પ્રેસિડેન્ટ રાજીવ મેમાણીએ જણાવ્યું હતું કે આ સમજૂતીથી ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થશે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર અને રોજગારી સર્જનને વેગ મળશે. ભારત-યુએસ વેપાર કરાર વેપાર ટેકનોલોજી અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવશે. સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અજય સિંહે જણાવ્યું હતું કે ભારત-યુએસ વેપાર કરાર બંને રાષ્ટ્ર માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્રાન્ડ માટે એક મોટું પ્રોત્સાહન છે… EU અને UK સાથેના તાજેતરના વેપાર કરારોની પછી આ કરાર વૈશ્વિક મંચ પર ભારતના વધતા વિશ્વાસ અને વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે તથા આર્થિક વિકાસ અને મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારીનો પાયો નાખે છે.

આ સમજૂતીને વ્યૂહાત્મક ગણાવીને ટીવીએસ મોટર કંપનીના ચેરમેન સુદર્શન વેણુએ જણાવ્યું હતું કે ભારતના ટેક્સટાઇલ્સ, ઓટો સહિતના ક્ષેત્રોને બજારમાં સરળતાથી પ્રવેશ મળશે. વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનનું હબ બનવાની ભારતની મહત્વાકાંક્ષાને ટેકો પણ મળશે. મહિન્દ્રા ગ્રુપના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અનિશ શાહે જણાવ્યું હતું કે આ સોદો બિઝનેસ વિશ્વાસ વધારશે. ભારતીય નિકાસ પરની 50 ટકાથી સીધી ઘટીને 18 ટકા થઈ છે. તેથી તમામ ક્ષેત્રોને તેનો લાભ થશે. ભારતીય અર્થતંત્ર મજબૂત વૃદ્ધિના માર્ગ પર હોવાથી આ સોદો ભારતની વૃદ્ધિ મહત્વાકાંક્ષાઓમાં અર્થપૂર્ણ વેગ ઉમેરે છે.

LEAVE A REPLY