અમદાવાદમાં ગત વર્ષે 12 જુનના રોજ એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. આ ઘટના માટે પાયલટની ઇરાદાપૂર્વકની કામગીરી જવાબદાર માનવામાં આવી રહી છે. આ કેસથી માહિતગાર નજીકના સૂત્રોએ વિસ્ફોટક દાવો કરતાં દુર્ઘટનામાં મહિનાઓથી ચાલી રહેલી અફવાઓને ઉત્તેજન મળ્યું છે.
બ્લૂમબર્ગના રીપોર્ટસ મુજબ નિષ્ણાતોએ વિમાનમાં મિકેનિકલ ખામી હોવાનો મુદ્દો ફગાવ્યો છે અને આ ઉપરાંત હજુ પણ અન્ય કોઇ ખરાબી હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. આથી પાયલટની કામગીરી સામે શંકા ઊભી થતાં તે દિશામાં સૌથી મજબૂત તપાસ આગળ વધી રહી છે. નામ જાહેર નહીં કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સંભવિત વિસ્ફોટક તારણો હજુ સુધી જાહેર કરાયા નથી. શરૂઆતના એક તપાસ રીપોર્ટ પછી જણાયું હતું કે, બોઇંગ 787 ડ્રીમલાઇનરનું મુખ્ય સંચાલન 56 વર્ષના અનુભવી કેપ્ટન સુમિત સભરવાલ કરી રહ્યા હતા અને કહેવાય છે કે, તેમણે ફ્લાઇટ ઉપડ્યા પછીની થોડીક જ ક્ષણોમાં વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચીઝ ‘બંધ કરી’ દીધી હતી.
અમદાવાદમાં મેડિકલ સ્ટુડન્ટ્સ હોસ્ટેલ પર વિમાન પડતાં 242 લોકોમાંથી એક સિવાયના તમામ મુસાફરોના મોત થયા હતા. ભારતની કોર્ટે આ ઘટનામાં પાયલટ્સનો બચાવ કર્યા પછી, વાત બદલાઈ ગઈ હતી, કોર્ટે દાવો કર્યો હતો કે, ‘કોઈપણ વ્યક્તિ પાયલટને કંઈપણ કાર્યવાહી માટે દોષિત ઠેરવી શકે નહીં.’ દુર્ઘટનાના એક વર્ષ સુધીમાં જૂન મહિનામાં તેના કારણો અંગેનો તપાસનો અંતિમ રીપોર્ટ જાહેર કરવો જરૂરી છે. પરંતુ તપાસકર્તાઓ રીપોર્ટ સમયમર્યાદા પહેલાં જાહેર કરે તેવી સંભાવના છે.
તપાસના અંતિમ તબક્કામાંથી એક ડિસેમ્બરમાં પૂર્ણ થયો હતો, જેમાં કોકપીટ અને ફ્લાઇટ ડેટાનું વિશ્લેષણ કરવા બ્લેક બોક્સ અમેરિકા મોકલાયું હતું.આ માટે ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોની એક ટીમ અમેરિકા ગઇ હતી, તેમનો જવાનો હેતુ એ હતો કે, ફ્યુઅલ સ્વિચીઝ ઇરાદાપૂર્વક બંધ કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવી. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્વીચમાં ફેરફાર દ્વારા થતાં ચોક્કસ અવાજ ઓળખવા માટે વિશેષ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેકોર્ડિંગ્સની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ટેઇક-ઓફ દરમિયાન કોકપીટમાં થયેલા ભારે અવાજને કારણે વિશ્લેષણ કરવાનું કાર્ય મુશ્કેલ બન્યું હતું.
એવી અપેક્ષા છે કે, અંતિમ રીપોર્ટ જાહેર થશે ત્યારે આ દુર્ઘટના સંબંધિત વિવિધ અટકળોનો અંત આવશે.
અમેરિકન અધિકારીઓએ પાયલટ સામે આરોપો મુક્યા હતા, જે સૌપ્રથમ વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રસિદ્ધ થયા હતા. તેમણે કહ્યું હતું કે, દુર્ઘટના અગાઉ કોકપીટમાં થયેલી તણાવપૂર્ણ ચર્ચા બ્લેક બોક્સ રેકોર્ડિંગમાં જાહેર થઇ હતી.
અમેરિકન તપાસથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રીમલાઇનર રનવે પરથી ઉડ્યું હતું તે પછી સુમીતે ફ્યુઅલ સ્વીચને સ્પર્શ કર્યો હતો, જેના કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સુમીતના 91 વર્ષીય પિતા પુષ્કરાજ સભરવાલે આ અંગે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ખૂબ જ પ્રતિભાશાળી પાયલટ હતો, તેણે પાયલટ માટેની અવારનવાર લેવાતી વિવિધ પરીક્ષામાં ‘નિયમિત’ સફળતા મેળવી હતી. તેમણે અમેરિકન અધિકારીઓ પર તેમના દાવા ‘પક્ષપાતી’ હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આ દુર્ઘટનાના અન્ય સંભવિત કારણોની તપાસ માટે ‘સ્વતંત્ર’ તપાસની માગણી કરી હતી.













