ઓમ બિરલાને લોકસભાના સ્પીકર પદ પરથી દૂર કરવા માટે વિરોધ પક્ષોએ એક એક દરખાસ્ત રજૂ કરવા માટેની મંગળવારે નોટિસ આપી હતી. વિપક્ષે ગૃહના કામકાજમાં બિરલા સ્પષ્ટપણે પક્ષપાતી વલણ અપનાવતા હોવાનો અને બંધારણીય પદનો દુરુપયોગ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે. વિપક્ષે સ્પીકર પર કોંગ્રેસના સભ્યો વિરુદ્ધ ખોટા આક્ષેપો કરવાનો પણ આરોપ મૂક્યો છે.
લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ, મુખ્ય દંડક કે સુરેશ અને દંડક મોહમ્મદ જાવેદે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિતના વિરોધ પક્ષો વતી લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને બંધારણની કલમ 94 સી હેઠળ નોટિસ સુપરત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે નોટિસ પર કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો અને આરજેડી સહિત વિપક્ષના લગભગ ૧૨૦ સાંસદોએ સહી કરી હતી. શિવસેના યુબીટી અને એનસીપી-એસપીએ પણ નોટિસ પર સહી કરી છે.ટીએમસી નોટિસ પર સહી કરનાર નથી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ નોટિસ પર સહી કરી નથી.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અનેક પ્રસંગોએ વિરોધ પક્ષોના નેતાઓને બોલવાની મંજૂરી આપવામાં આવી નથી, જે સંસદમાં તેમનો મૂળભૂત લોકશાહી અધિકાર છે. ૨ ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમનું ભાષણ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કોઈ એકલદોકલ ઘટના નથી. ૩ ફેબ્રુઆરીના રોજ, આઠ વિપક્ષી સાંસદોને સમગ્ર બજેટ સત્ર માટે મનસ્વી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
જોકે વિપક્ષની આ નોટિસને ગૃહની મંજૂરી મળવાની શક્યતા ઓછી છે, કારણ કે લોકસભામાં હાલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન પાસે સ્પષ્ટ બહુમતી છે.














