જૂનાગઢનો ‘મીની કુંભ’ તરીકે ઓળખાતો મહાશિવરાત્રી મેળાનો હર હર મહાદેવના નાદ સાથે 11 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો હતો. 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્ત ઉમટી પડ્યાં હતાં. ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય શિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો હતો.ધ્વજારોહણ બાદ પરંપરા મુજબ વિવિધ અખાડાઓમાં ધ્વજા ચડાવવામાં આવી હતી અને ત્યારબાદ આશ્રમોમાં પણ ધ્વજારોહણની વિધિઓ યોજાઈ હતી. ધ્વજારોહણ બાદ નાગા સાધુઓએ પોતાના ધુણાઓ ચેતન કરી ‘અલખનો નાદ’ જગાવ્યો હતો, જેના કારણે સમગ્ર ભવનાથ તળેટી શિવમય બની ગઈ હતી
વહીવટીતંત્ર સાધુઓ અને ભક્તોના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર હતી. આ વર્ષે 11 ફેબ્રુઆરીએ સાધુ-સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ખાસ નગરયાત્રાનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને રવેડીનો રૂટ 1.5 કિમીથી વધારી 2 કિમી કરાયો હતો, જેથી મહત્તમ લોકો નાગા સાધુઓના દર્શન કરી શકે. આ વર્ષે શાહી સ્નાનનું લાઈવ પ્રસારણ કરાશે.
અગાઉ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે ભવનાથ ખાતે મેળામાં લાખો શ્રદ્ધાળુઓની અપેક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં આ વર્ષે 2,900 પોલીસ કર્મચારી તૈનાત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર રહેશે. જૂનાગઢના ‘મીની કુંભ’ તરીકે ઓળખાતા મહાશિવરાત્રી મેળામાં આવતા સાધુઓ અને ભક્તોનું સ્વાગત કરવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. ભક્તો માટે વહીવટીતંત્રે આ વર્ષે રવેડી રૂટને 500 મીટર લંબાવીને કુલ 2 કિમી કર્યો છે.
સરકારની પૂર્વ તૈયારી અંગે સંઘવીએ જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રખાશે, જ્યારે પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થાપન, રહેઠાણ અને શયનગૃહ સુવિધાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય પ્રવાસન વિભાગ ભગવાન ભોલેનાથની થીમ પર આધારિત સમગ્ર રૂટને સજાવશે અને જૂનાગઢ શહેરને સુશોભન લાઇટિંગથી પ્રકાશિત કરાયું હતું. રૂટ પર અનેક સેલ્ફી પોઈન્ટ અને માહિતી કેન્દ્રો પણ સ્થાપિત કરાયા હતાં.












