ભારતના બંધના એલાનને પગલે પ્રયાગરાજમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ વિવિધ ટ્રેડ યુનિયનના કર્મચારીઓએ વિરોધી દેખાવ કર્યો હતો. (PTI Photo)

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી, ખેડૂત વિરોધી અને દેશ વિરોધી અને કોર્પોરેટ તરફી નીતિઓના વિરોધમાં ગુરુવાર, 12 ફેબ્રુઆરીએ દેશભરના કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત ફોરમે આપેલી રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનની મિશ્ર અસર જોવા મળી હતી. દેશભરમાં જનજીવન રાબેતા મુજબ રહ્યું હતું.

રાષ્ટ્રવ્યાપી હડતાલની ગુજરાતમાં કોઇ ખાસ અસર જોવા મળી ન હતી. મોટાભાગના સેવાઓ અને મોટાભાગની સેવાઓ અને વાણિજ્યિક સંસ્થાઓ રાજ્યભરમાં રાબેતા મુજબ કાર્યરત હતી. ગુજરાતમાં ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓએ કેટલીક જગ્યાએ દેખાવો કર્યા હતા, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોના કેટલાક કર્મચારીઓ કામથી દૂર રહ્યા હતાં.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં સામાન્ય જનજીવન મોટાભાગે અકબંધ રહ્યું હતું. બજારો, દુકાનો, ઔદ્યોગિક એકમો અને શૈક્ષણિક સંસ્થાઓ કોઈપણ વિક્ષેપ વિના કાર્યરત રહી હતી, જ્યારે જાહેર પરિવહન સેવાઓ અને ઓટોરિક્ષાઓ કોઈપણ સમસ્યા વિના ચાલી હતી. અમદાવાદ અને સુરતમાં, મુખ્ય બજારો, હીરા પોલિશિંગ અને ટ્રેડિંગ એકમો, તેમજ કાપડ બજારોમાં નિયમિત વ્યાપારિક પ્રવૃત્તિ જોવા મળી.

અહેવાલો અનુસાર, ઓડિશા, કેરળ, તમિલનાડુ, ગોવા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના રાજ્યોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ઓડિશામાં ૧૨ કલાકના રાષ્ટ્રવ્યાપી આંદોલનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો સહિત મુખ્ય રસ્તાઓ બંધ હોવાથી જાહેર પરિવહન, બજારો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યવસાયિક સંસ્થાઓ પ્રભાવિત થઈ હતી.બંધની અસર ભુવનેશ્વર, કટક, બાલાસોર, બહેરામપુર અને સંબલપુર સહિત તમામ મુખ્ય શહેરી વિસ્તારોમાં અનુભવાઈ હતી.

ઝારખંડમાં, હડતાળથી બેંકિંગ, વીમા અને કોલસા ક્ષેત્રો પ્રભાવિત થયા હતાં. રાજ્યમાં હડતાળને ડાબેરી પક્ષો અને કોંગ્રેસે પણ ટેકો આપ્યો હતો. છત્તીસગઢમાં, કર્મચારીઓ હડતાળમાં જોડાયા હોવાથી ઘણી રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહી હતી. વીમા કંપનીઓ, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ, મજૂરો અને ખેડૂતોએ પણ આંદોલનમાં ભાગ લીધો હતો, જેના કારણે તેમના સંબંધિત ક્ષેત્રોમાં કામગીરી પ્રભાવિત થઈ હતી. ખનિજ સમૃદ્ધ રાજ્યમાં ખાણકામ પ્રવૃત્તિઓને આંશિક અસર પડી હતી.

તમિલનાડુમાં બંદર કામગીરીમાં સામાન્યતા પ્રભાવિત થઈ હતી અને કામદારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. થુથુકુડી અને ચેન્નાઈમાં બંદર કામગીરીને આ આંદોલનનો સૌથી વધુ ભોગ બનવું પડ્યું હતું. કેટલીક મોટી ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક કંપનીઓના પ્લાન્ટમાં ઓછા માનવબળ સાથે ઉત્પાદ કામગીરી ચાલી રહી હતી. કેરળમાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે ડે-નોન (એક એવો દિવસ જ્યારે કોઈ કાનૂની કાર્ય હાથ ધરવામાં આવતું નથી) જાહેર કર્યો હોવાથી પરિવહન ઓફિસોમાં હાજરી ઓછી જોવા મળી હતી. પંજાબના શાસક પક્ષ, AAPએ રાષ્ટ્રવ્યાપી હડતાળને ટેકો આપ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં હડતાળના એલાનનો કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો કારણ કે વાહનો સામાન્ય રીતે ચાલતા હતાં અને રાજ્ય સરકારી અને ખાનગી કચેરીઓમાં સામાન્ય હાજરી નોંધાઈ હતી.

LEAVE A REPLY