ગુજરાત વિધાનસભાએ મંગળવારે દુકાનો અને વાણિજ્યિક સંસ્થાઓમાં દૈનિક કામના કલાકો વધારવા અને મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપતા સુધારા બિલને બહાલી આપી હતી. નવા બિલની જોગવાઈ મુજબ શ્રમિકો હવે 9 કલાકની જગ્યાએ દૈનિક 10 કલાક કામ કરી શકશે. આ ઉપરાંત મહિલાઓ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ શિફ્ટમાં નોકરી કરી શકશે.
ગુજરાત દુકાનો અને કોમર્શિયલ સંસ્થાઓ (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) બિલ, 2026 ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાન કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ પાર્ટી સાથે વિચાવિમવર્શ કરીને યોગ્ય સલામતી અને અમલીકરણ અંગે ખાતરી આપ્યા પછી આ બિલ સર્વસંમતિથી પસાર થયું હતું.
આ બિલની જોગવાઈ મુજબ કોઈપણ મહિલા તેની સંમતિથી કોઈપણ દુકાન અથવા સંસ્થામાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે છે. જોકે નોકરીદાતા ગૌરવ અને સલામતીનું પૂરતું રક્ષણ, જાતીય સતામણીથી રક્ષણ અને આરામ ખંડ, રાત્રિ ઘોડિયાઘર અને અલગ શૌચાલય જેવી સુવિધાઓ પૂરી પાડવાની રહેશે.
પ્રધાન બાવળિયાએ ગૃહને માહિતી આપી હતી કે આ સુવિધાઓ ઉપરાંત, રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને કાર્યસ્થળથી નિવાસસ્થાન સુધી પરિવહનની સુવિધા પણ પૂરી પાડવાની રહેશે. બીજા એક મહત્ત્વનો સુધારો કર્મચારીઓને હવે નવ કલાકની જગ્યાએ દરરોજ 10 કલાક કામ કરવાની છૂટ આપવામાં આવશે, જેમાં વિરામનો પણ સમાવેશ થાય છે. આ સુધારાથી કામદારોને ઓવરટાઇમ કરવાની પણ મંજૂરી મળે છે, જેમાં કોઈપણ ક્વાર્ટર (ત્રણ મહિના)માં ઓવરટાઇમ કલાકોની કુલ સંખ્યા ૧૪૪ કલાકથી વધુ ન હોવી જોઈએ, જે અગાઉ ૧૨૫-કલાક હતી.
ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા બાવળિયાએ જણાવ્યું હતું કે આ ફેરફારોનો હેતુ વ્યવસાય કરવાની સરળતા અને કામદારોના અધિકારોના રક્ષણ વચ્ચે સંતુલન જાળવવાનો છે.












