અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણીએ 19 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં બાંહેધરી આપી હતી કે તેઓ કોર્ટની પૂર્વ પરવાનગી વગર દેશ છોડશે નહીં સંબંધિત રૂ.40,000 કરોડના બેંકિંગ-કોર્પોરેટ ફ્રોડની તપાસમાં એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપશે.
બીજી તરફ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અનિલ અંબાણીને 26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર થવા માટે નવેસરથી સમન્સ જારી કર્યું છે. અગાઉ તેઓ ઇડી સમક્ષ હાજર થયા ન હતાં. તેમની પત્ની અને ભૂતપૂર્વ અભિનેત્રી ટીના અંબાણી 10 ફેબ્રુઆરી અને 17 ફેબ્રુઆરીની સમન્સની તારીખે ઇડી સમક્ષ હાજર થયાં ન હતાં. ટીના અંબાણીને નવુ સમન્સ અપાયું છે કે નહીં તે સ્પષ્ટ થયું ન હતું.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે તેઓ ભાગી જશે તેવું જોખમ નથી અને કાયદાની પ્રક્રિયાથી છટકવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે હું બાંહેધરી આપું છું કે મેં જુલાઈ 2025થી હાલની તપાસ શરૂ થઈ ત્યારથી ભારત છોડ્યું નથી અને હાલમાં ભારતની બહાર મુસાફરી કરવાની કોઈ યોજના કે ઈરાદો નથી. હું વધુ બાંહેધરી આપું છું કે જો વિદેશ યાત્રાની કોઈ જરૂરિયાત ઊભી થશે તો હું આવી કોઈપણ યાત્રા કરતા પહેલા આ કોર્ટની અગાઉથી રજા અને પરવાનગી લઈશ. હું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક હાલની તપાસના સંદર્ભમાં તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યો છું અને સંપૂર્ણ સહયોગ આપવાનું ચાલુ રાખીશ.
ભૂતપૂર્વ અમલદાર ઇએએસ શર્મા દાખલ કરેલી અરજીના જવાબમાં અનિલ અંબાણીએ આ બાંહેધરી આપી હતી. શર્માએ ADAG, અનિલ અંબાણી અને ગ્રુપ કંપનીઓના કથિત મોટા બેંકિંગ અને કોર્પોરેટ ફ્રોડની નિષ્પક્ષ અને ઝડપી તપાસની માંગણી કરી છે.













