ભારતના ચૂંટણી પંચે બુધવારે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી 16 માર્ચે યોજવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, હરિયાણા અને આસામમાં ભાજપની કે તેના ગઠબંધનની સરકાર છે. જેના કારણે રાજ્યસભામાં ભાજપની બેઠકો વધવાની શક્યતા છે.
આ દસ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં ૭ બેઠકો, ઓડિશામાં ૪ બેઠકો, તેલંગણામાં ૨ બેઠકો, તમિલનાડુમાં ૬ બેઠકો, છત્તીસગઢમાં ૨ બેઠકો, પશ્ચિમ બંગાળમાં ૫ બેઠકો, આસામમાં ૩ બેઠકો, હરિયાણામાં ૨ બેઠકો, હિમાચલ પ્રદેશમાં ૧ બેઠક અને બિહારમાં ૫ બેઠકોનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચનાં જણાવ્યા મુજબ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ૨૦ માર્ચ સુધી પૂર્ણ થશે. દેશમાં રાજ્યસભા સભ્યોની કુલ સંખ્યા ૨૪૫ છે. તેમાં ૨૩૩ સાંસદોની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. જ્યારે ૧૨ સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણી અન્ય ચૂંટણીથી અલગ હોય છે. તેમાં પ્રજા ડાયરેક્ટ મતદાન કરી શકતી નથી. પ્રજા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ રાજ્યસભા સભ્યોની પસંદગી કરે છે.













