બોલીવૂડના પીઢ અભિનેતા અનિલ કપૂર 69 વર્ષની ઉંમરે પણ એકદમ ઉત્સાહિત અને ઊર્જાવાન જોવા મળે છે. અનિલ કપૂરે આ ઉંમરે પણ પોતાના જુસ્સાનું રસપ્રદ કારણ રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેમની અંદરની અસુરક્ષા જ તેમને સતત સક્રિય અને ઉત્સાહી રાખે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, નિવૃત્તિની ઉંમરે પણ કોઈ વ્યક્તિ આટલી ઊર્જાવાન કઈ રીતે રહી શકે? તે અંગે અનિલ કપૂરે કહ્યું, ‘હું માનું છું કે આ મારી અસુરક્ષા છે. હું કામ કરવા ઇચ્છું છું. કામમાં મારી એનર્જી દેખાય છે તો તેનું કારણ એ છે કે હું હંમેશા જીવંત રહેવા ઇચ્છું છું. મને કામ મળતું રહે, હું ત્યાં રહું, એ મારા માટે ખૂબ મહત્વનું છે. એથી જ મને શક્તિ મળે છે. હું નકલી રીતે એનર્જી દર્શાવી શકતો નથી. મારી મુખ્ય પ્રેરણા એ છે કે ‘મારે સારું કામ કરવું છે’. હું સારું કામ કરું તો દિગ્દર્શક પણ ખુશ રહે, હું મારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ આપું – એ જ મારો લક્ષ્યાંક છે. કદાચ મને લાગે છે કે મારું કામ હજુ પૂરતું નથી અને હજુ ઘણું શીખવાનું બાકી છે. તેથી વધુ સારી રીતે કામ કરવા માટે ફિટનેસ અને ઊર્જા જરૂરી છે.’
આ ઉપરાંત અનિલ કપૂરે આ ઇન્ટરવ્યુમાં તેના વિવિધ ફિલ્મોમાં અભિનય કરવાના કિસ્સા, અમરીશ પુરી અને ઓમ પુરી જેવા કલાકારો પાસેથી કામ શીખવાના અનુભવો વગેરે વિશે વાત કરી હતી. અનિલ કપૂર છેલ્લે ‘વોર 2’માં કર્નલ વિક્રાંત કૌલની ભૂમિકા ભજવી હતી. હવે તે એક્શન ડ્રામા ફિલ્મ સુબેદારમાં જોવા મળશે.
‘સુબેદાર’માં અનિલ કપૂર ઉપરાંત રાધિકા મદાન મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ સૌરભ શુક્લા, આદિત્ય રાવલ, ફૈસલ મલિક અને મોના સિંહ પણ મહત્વના પાત્રોમાં છે.
ઓપનિંગ ઇમેજ ફિલ્મ્સ અને અનિલ કપૂર ફિલ્મ એન્ડ કમ્યુનિકેશન નેટવર્કના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ વિક્રમ મલ્હોત્રા, અનિલ કપૂર અને સુરેશ ત્રિવેણીએ કર્યું છે. ફિલ્મનું દિગ્દર્શન સુરેશ ત્રિવેણીએ કર્યું છે અને તેમણે પ્રજ્વલ ચંદ્રશેખર સાથે મળીને પટકથા લખી છે. ‘સુબેદાર’ 5 માર્ચના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રીલીઝ થશે.













