ટ્રમ્પ

કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ધ 2026 ઇન્ડિયન અમેરિકન એટ્ટિટ્યૂડ્સ સર્વેમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વિશેષમાં તો ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો નિભાવવાના મુદ્દે તેમના પ્રત્યે ગંભીર નારાજગી બહાર આવી છે. અમેરિકામાં 25 નવેમ્બર, 2025થી 6 જાન્યુઆરી, 2026 દરમિયાન પુખ્ત ઉંમરના એક હજાર ભારતીયોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે YouGov સાથે સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો, જેમાં જણાયું હતું કે માત્ર 20 ટકા ઉત્તરદાતાઓએ ટ્રમ્પના ભારત સાથેના વ્યવહારને સ્વીકાર્યો હતો. આ સ્વીકૃતિ 2020માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન 35 ટકાથી નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે અને 2024ના અંતમાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડેનની નીતિને સમર્થન આપનારા 48 ટકાથી તદ્દન વિરોધાભાસ દર્શાવે છે. 55 ટકા ઉત્તરદાતાઓએ વ્યાપાર, ટેકનોલોજી પરિવર્તન અને વ્યૂહાત્મક સહયોગ, ક્વાડના સંબંધો અને ઈન્ડો-પેસિફિક મુદ્દે ટ્રમ્પની નીતિને સ્વીકારી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દર ચારમાંથી એક ભારતીય અમેરિકન (25 ટકા)એ આ સર્વેમાં કોઇ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી. ડેમોક્રેટિક તરફેણમાં રહેલા મિલન વૈષ્ણવ, સુમિત્રા બદ્રીનાથન, દેવેશ કપૂર, એન્ડી રોબૈના જેવા ભારતીય અમેરિકનો દ્વારા થયેલા સર્વે મુજબ, હજુ પણ 46 ટકાની સાથે 70 ટકા લોકો ટ્રમ્પની ભારત પ્રત્યેની નીતિને સ્વીકારતા નથી, જ્યારે દસ ટકાથી ઓછા લોકો તેને યોગ્ય માને છે. રીપબ્લિકન વિચારધારા ધરાવતા 50 ટકા લોકો તેને સ્વીકારે છે.

LEAVE A REPLY