એડવિન
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સોમવાર, 23 ફેબ્રુઆરીએ પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયન્સની પ્રતિમાની જગ્યાએ સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. (@rashtrapatibhvn/ANI Photo)

બ્રિટિશ રાજ વખતના ગુલામીના પ્રતિકોને દૂર કરવાના વડાપ્રધાન નરેન્દ્ર સરકારના અભિયાનના ભાગરૂપે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સોમવાર, 23 ફેબ્રુઆરીએ પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયન્સની પ્રતિમાની જગ્યાએ સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. લુટિયન્સ રાષ્ટ્રપતિભવન, ઇન્ડિયા ગેટ સહિતની દિલ્હીની ઘણી પ્રખ્યાત ઇમારતોના મુખ્ય શિલ્પી હતાં.

સરકારના જણાવ્યા અનુસાર આ પગલું દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અપાવવાના વ્યાપક અભિયાનનો એક મહત્વનો હિસ્સો છે. રાજાજીની આ પ્રતિમા રાષ્ટ્રપતિ ભવનના અશોક મંડપ પાસે ગ્રાન્ડ ઓપન સ્ટેયરકેસ વિસ્તારમાં સ્થાપિત કરાઇ છે.

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ‘રાજાજી ઉત્સવ’ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ સંબોધનમાં જણાવ્યું હતું કે ‘રાજાજીનું જીવન ભારતને માનસિક ગુલામીમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલું હતું. આઝાદી બાદ રાજાજી ગવર્નર હાઉસમાં રહેવા આવ્યાં, ત્યારે તેમણે બ્રિટિશ ઠાઠમાઠના બદલે પોતાના રૂમમાં રામકૃષ્ણ પરમહંસ અને મહાત્મા ગાંધીના ચિત્રો લગાવીને ભારતીયતાનો પરિચય આપ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાષ્ટ્રપતિ ભવનમાં બ્રિટિશ અધિકારીઓના ચિત્રો હટાવી ત્યાં પરમવીર ચક્ર વિજેતાઓના ચિત્રો લગાવવામાં આવ્યા છે.

/* */

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ પણ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, જ્યાં પહેલા લુટિયન્સની પ્રતિમા હતી ત્યાં હવે રાજાજીની પ્રતિમા હોવી તે માનસિક ગુલામીમાંથી મુક્તિનું મોટું પગલું છે.
જોકે આ ફેરફાર સામે સર એડવિન લુટિયન્સના પરપૌત્ર અને બ્રિટિશ લેખક મેટ રિડલેએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પરદાદા દ્વારા ડિઝાઈન કરાયેલા ભવનમાંથી તેમની પ્રતિમા હટાવવામાં આવી તે અફસોસજનક છે.

 

LEAVE A REPLY