

પવિત્ર શહેર હરિદ્વારમાં તા. ૩થી ૬ ફેબ્રુઆરી દરમિયાન આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિ જી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આધ્યાત્મિક સમારોહમાં બ્રહ્મલીન પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદ ગિરિ જી મહારાજના સમાધિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઇ હતી. આ પળના સાક્ષી બનવા માટે દેશ વિદેશના હજારો ભક્તો અને ભારતના સર્વોચ્ચ મહાનુભાવો ઉપસ્થિત થયા હતા.
આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને શ્રી મનોહર લાલ ખટ્ટર, બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, VHP ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ શ્રી આલોક શર્માજી, યોગ ગુરુ સ્વામી રામદેવજી, સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજ, મહામંડલેશ્વર, સ્વામી ગુરુશરણાનંદજી મહારાજ, સ્વામી અખિલેશવરાનંદજી, સ્વામી વિશોકાનંદ ભારતીજી મહારાજ, સ્વામી હરિચેતાનંદજી, સ્વામી લલિતાનંદજી અને જુના અખાડાના સંતો ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરની મુખ્ય વિશેષતા પૂજ્ય ગુરુજીની ઉત્કૃષ્ટ મૂર્તિ છે જેને અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામ લલ્લાની મૂર્તિ બનાવનાર વિશ્વ-પ્રસિદ્ધ કલાકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક ભારત માતા મંદિરના સ્થાપક સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજીએ પોતાનું જીવન આધ્યાત્મિક જાગૃતિ, રાષ્ટ્રીય એકતા અને માનવતાવાદી સેવા માટે સમર્પિત કર્યું હતું. પૂજ્ય સ્વામીજીની સખાવતી પહેલથી સંકળાયેલા ટ્રસ્ટો દ્વારા મફત શિક્ષણ, આરોગ્યસંભાળ સહાય, ગ્રામીણ ઉત્થાન કાર્યક્રમો અને સમાજ કલ્યાણ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સ્વામીજીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના આધ્યાત્મિક જ્ઞાનને પણ શેર કર્યું હતું અને યુકે, આફ્રિકા સહિત વિશ્વના ભારતીય ડાયસ્પોરા સાથે મજબૂત જોડાણો વિકસાવ્યા હતા અને સત્સંગ, સાંસ્કૃતિક સંવાદ અને માનવતાવાદી પહોંચ માટે કેન્દ્રો સ્થાપ્યા હતા.
ત્રણ દિવસ દરમિયાન, વૈદિક ધાર્મિક વિધિઓ, સત્સંગો અને ભક્તિ સભાઓ યોજાઈ હતી જેમાં પૂજ્ય સ્વામીજીના સંવાદિતા, સેવા અને આધ્યાત્મિક રાષ્ટ્રવાદના સંદેશની ઉજવણી કરવામાં આવી હતી.














