
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ગુરુવાર, 26 ફેબ્રુઆરીની રાત્રે ‘ખુલ્લું યુદ્ધ’ ફાટી નીકળ્યું હતું. પાકિસ્તાની એરફોર્સે અફઘાનિસ્તાનના મુખ્ય શહેરોમાં રાત્રે તાલિબાન સરકારના ઠેકાણાને ટાર્ગેટ કરી બોંબમારો કર્યો હતો.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આ સંઘર્ષને ઓપન વોર ગણાવ્યું હતું. પાકિસ્તાનને સરહદ પરના અનેક ક્ષેત્રોમાં તાલિબાન ચોકીઓ, મુખ્યાલયો અને દારૂગોળાના ડેપો પર હવાઈ અને જમીની હુમલાઓ કર્યાં હતાં. પાકિસ્તાનને દાવો કર્યો હતો કે 133 અફઘાન તાલિબાન લડવૈયાઓના મોત થયા છે, જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાનના 55 સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે શુક્રવારે કહ્યું હતું કે અમારી ધીરજ ખુટી ગઈ છે. હવે અમારી અને તમારી (અફઘાનિસ્તાન) વચ્ચે ખુલ્લું યુદ્ધ છે. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે પાકિસ્તાની દળોએ કાબુલ, કંદહાર અને પક્તિયાના કેટલાંક વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા. કાબુલમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટો સાંભળવામાં આવ્યાં હતાં.
પાકિસ્તાન સરકારના પ્રવક્તા મોશરફ ઝૈદીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં લક્ષ્યો સામે પાકિસ્તાની વળતા હુમલાઓ ચાલુ છે. આ કાર્યવાહીને અફઘાન હુમલાઓનો વળતો જવાબ છે. 133 અફઘાન તાલિબાન લડવૈયાઓના મોત થયા છે અને 200થી વધુ ઘાયલ થયાં હતાં. 27 ચોકીઓનો ઉડાવી દેવામાં આવી છે અને નવ ચોકીઓ કબજે કરવામાં આવી છે. બીજી તરફ તાલિબાનના પ્રવક્તા મુજાહિદે જણાવ્યું હતું કે નાંગરહાર પ્રાંતમાં 55 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતાં અને 19 ચોકીઓ કબજે કરવામાં આવી છે. પાકિસ્તાનના હુમલામાં આઠ તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે, જ્યારે 11 ઘાયલ થયા છે. આ હુમલામાં 13 નાગરિકો ઘાયલ થયા છે.
આ સપ્તાહની શરૂઆતમાં પાકિસ્તાને કાબુલ અને કંદહારમાં હવાઇ હુમલા કર્યા હતા. આ પછી ગુરુવારે અફધાન સરકારે પણ વળતી કાર્યવાહી કરી હતી અને પાકિસ્તાનની ડઝનથી વધુ આર્મી પોસ્ટ કબજે કરી હોવાનો દાવો કર્યો હતો.













