
અમેરિકા અને ભારત વચ્ચેના વચગાળાના કરાર અંગે અનિશ્ચિતતા વચ્ચે ભારતના વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે અમેરિકાના વેપાર પ્રધાન હોવાર્ડ લુટનિક અને ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર સાથે બેઠક યોજી હતી અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં વધારા કરવાના રસ્તાની ચર્ચાવિચારણા કરી હતી.
ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકાના બંને નેતાઓ સાથે વેપાર અને આર્થિક ભાગીદારીને વિસ્તૃત કરવાની ખૂબ જ ફળદાયી ચર્ચાવિચારણા કરી હતી. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહ્યા છે.
બંને દેશોના મુખ્ય વાટાઘાટકારો આ સપ્તાહે વોશિંગ્ટનમાં કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે મળવાના હતાં, પરંતુ યુએસ સુપ્રીમ કોર્ટ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક ટેરિફ રદ કર્યા પછી આ બેઠક મુલતવી રાખવામાં આવી હતી. કોર્ટના આદેશ પછી ટ્રમ્પે 24 ફેબ્રુઆરીની અસરથી 150 દિવસ માટે તમામ દેશો પર 10 ટકા ટેરિફ લાદી છે. ટ્રમ્પે આ ટેરિફને વધારીને 15 ટકા કરવાની પણ જાહેરાત કરી છે, પરંતુ હજુ તેનો સત્તાવાર આદેશ જારી કર્યો નથી.
અગાઉ મંગળવારે ગોયલે જણાવ્યું હતું કે અમેરિકા તરફથી ટેરિફ અંગે વધુ સ્પષ્ટતા આવ્યા પછી તરત વેપાર મંત્રણા ફરી ચાલુ કરાશે.
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં તેમના મુખ્ય આર્થિક એજન્ડાને મોટો ફટકો આપતા યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા ટેરિફ ગેરકાયદેસર છે અને પ્રેસિડન્ટે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળની સત્તાનો દુરુપયોગ કર્યો છે. ભારત અને અમેરિકાએ આ મહિનાની શરૂઆતમાં વચગાળાના વેપાર કરારના માળખાની સંયુક્ત રીતે જાહેરાત કરી હતી. આ કરાર હેઠળ અમેરિકા ભારત પરની ટેરિફને ઘટાડીને 18 ટકા કરવા સંમત થયું હતું. જોકે આ વચગાળાના વેપાર કરારની અંતિમ મંત્રણાની બાકી છે.












