દિલ્હીની એક કોર્ટે 27 ફેબ્રુઆરીએ શરાબ નીતિ કૌભાંડમાં નિર્દોષ જાહેર કર્યા પછી દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પત્રકારો સાથે વાતચીત કરતા ભાવુક થયા હતાં.(ANI Video Grab)

દિલ્હીની એક કોર્ટે શુક્રવાર, 27 ફેબ્રુઆરીએ શરાબ નીતિ કેસમાં દિલ્હીના માજી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને બીજા 21 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. આ કથિત શરાબ કૌભાંડના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇની આકરી ટીકા કરતાં કોર્ટે જણાવ્યું હતું કે શરાબ નીતિમાં કોઈ મોટા કાવતરા કે ગુનાહિત ઇરાદાના પુરાવા નથી. આ કેસમાં ક્લીનચીટ આપવામાં આવેલા 21 લોકોમાં તેલંગાણા જાગૃતિના પ્રમુખ કે કવિતાનો પણ સમાવેશ થાય છે.

સીબીઆઈ પર આકરા પ્રહારો કરતાં વિશેષ ન્યાયાધીશ જિતેન્દ્ર સિંહે સીબીઆઈ ચાર્જશીટની નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો. સીબીઆઈ અગાઉની અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકારની આબકારી નીતિના નિર્માણ અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ કથિત કૌભાંડમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ જેલમાં પણ જવું પડ્યુ હતું. આ પછી દિલ્હીમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઘોર પરાજય થયો હતો.

કોર્ટના ચુકાદા પછી અરવિંદ કેજવાલ ભાવુક થયા હતાં અને જણાવ્યું હતું કે તેમની સામેનો ભ્રષ્ટાચારનો કેસ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું રાજકીય કાવતરું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઇશારેએ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આ કાવતરુ ઘડવામાં આવ્યું હતું. AAPના પાંચ સૌથી મોટા નેતાઓને પાર્ટીને ખતમ કરવા બદલ જેલમાં ધકેલવામાં આવ્યાં હતાં. આ કેસમાં કેજરીવાલ છ મહિના જેલમાં હતાં, જ્યારે સિસોદિયા બે વર્ષ જેલમાં હતાં.

/* */

જોકે તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તે ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે તાત્કાલિક દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરશે. કોર્ટે તપાસના અનેક પાસાઓની અવગણના કરી છે અથવા તેમને પૂરતા પ્રમાણમાં ધ્યાનમાં લીધા નથી.

તપાસમાં અનેક ખામીઓ માટે સીબીઆઈને ફટકાર લગાવતા ન્યાયાધીશે કહ્યું હતું કે કેજરીવાલ વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા નથી અને સિસોદિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કોઈ પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો નથી. એક્સાઇઝ નીતિમાં કોઈ મોટા પાયે કાવતરું કે ગુનાહિત ઇરાદો લાગતો નથી. સીબીઆઇએ દાખલ કરેલી ચાર્જશીટમાં ઘણી ખામીઓ છે, જેને પુરાવા અથવા સાક્ષીઓનું સમર્થન નથી.

LEAVE A REPLY