ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ (ANI Photo)

નાણાપ્રધાન કનુ દેસાઈએ રજૂ કરેલા બજેટને આવકારતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતનું બજેટ રાજ્યની સતત વિકાસ યાત્રાને આગળ ધપાવે છે, જે જન કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નાગરિકો પર કોઈ નવો કર બોજ લાદતું નથી. જોકે વિપક્ષે બજેટની ટીકા કરતા તેને ખેડૂતો, યુવાનો અને સામાન્ય લોકો માટે નિરાશાજનક અને ચૂંટણીલક્ષી ગણાવ્યું હતું.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી કાર્ય માટે ફાળવવામાં આવ્યો છે. બજેટ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાગત સુવિધા, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથના પાંચ સ્તંભો પર આધારિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત પ્રગતિશીલ અને સતત વિકાસમાં મોખરે રહ્યું છે અને તેમના દરેક સંકલ્પને ફળીભૂત કરે છે. બજેટમાં પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા માટે, 2026નું વર્ષ ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે જાહેર કરાયું છે અને તેના માટે 6,500 કરોડ રૂપિયાની જોગવાઈ છે.

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને પ્રથમ સહકાર મંત્રી અમિત શાહના પ્રયાસોના પરિણામે, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની તક મળી છે. આ માટે રમતગમતના માળખાગત સુવિધાઓ અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલિમ્પિક માટે અમદાવાદને સજ્જ કરવા બજેટમાં 1,200 કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરાઈ છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બજેટની ટીકા કરતા તેને ખેડૂતો, યુવાનો અને સામાન્ય લોકો માટે નિરાશાજનક અને ચૂંટણીલક્ષી ગણાવ્યું હતું. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ગુરાતના લોકોને આશા હતી કે ભાજપની “ડબલ એન્જિન સરકાર” એવું બજેટ રજૂ કરશે જે તેમના ફાયદાઓને બમણા કરશે. પરંતુ સત્ય એ છે કે એક એન્જિન ફુગાવાને પ્રોત્સાહન આપે છે, જ્યારે બીજું ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. ખેડૂતો મુશ્કેલીમાં હોવા છતાં, આ બજેટમાં કૃષિ દેવા માફીનો કોઈ ઉલ્લેખ નથી. સામાજિક ન્યાય માટે ફાળવણીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, અને વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે પેન્શનમાં વધારા માટે એક પણ શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી

LEAVE A REPLY