આણંદ

આણંદ શહેરમાં ૧૩ બાય ૧૩ની એક સામાન્ય ઓરડીમાં વસવાટ કરતા માતા-પિતાની સાથે રહી અભ્યાસ કરનારી એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વૈજ્ઞાનિક બની બતાવ્યું છે. આ યુવતીએ દેશની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશીપ મેળવી અંતરીક્ષમાં છ નવી આકાશગંગાઓના સમુહને શોધી કાઢ્યા છે. આટલું જ નહી, આ નવા સમુહને ભારતીય નામોથી નવાજ્યા છે. માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
અર્જુનભાઇ અને લત્તાબેન પટેલની એક માત્ર પુત્રી એકતા શાહ છે. આ પરિવાર આણંદના એક એનઆરઆઇ પરિવારના બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રહે છે. અર્જુનભાઇ એક ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરે છે અને લત્તાબેન સીવણ કાર્ય કરે છે. બન્ને કામ કરે ત્યારે ઘરના બન્ને છેડા ભેગા થાય, એવી સ્થિતિ. પણ તેમણે પોતાની દીકરી એકતાને અભ્યાસ કરાવવામાં કોઇ કમી રાખી નહીં. બાળપણથી જ એકતા બહુ જિજ્ઞાસુ. તેણે કે. જે. ઠક્કર પ્રાથમિક શાળા, આણંદ હાઇસ્કૂલમાં માધ્યમિક અને બાદમાં ડી. ઝેડ. પટેલ હાઇસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં ગણિત સાથે ઉચ્ચસ્તર માધ્યમિકમાં અભ્યાસ કર્યો. તેમણે ધાર્યું હોત તો રાજ્યની સારી ઇજનેરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોત પણ, તેમણે ફિઝીક્સના ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. એકતાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું. આ અભ્યાસ દરમિયાન જામ (JAM), નેશનલ ગ્રેજ્યુએટ ફિઝીક્સ એક્ઝામિનશનમાં પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. એમ. એસ. યુનિવર્સિટી દરમિયાન તેમના પિતાએ લોન લઇ લેપટોપ લઇ આપ્યું. એના આધારે દેશમાં થતી સ્પર્ધાઓમાં ભાગ લેવા એકતા પહોંચી જતી હતી. બાદમાં આઇઆઇટી – મુંબઇમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
મુંબઇમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ એકતાએ રોચસ્ટર યુનિવર્સિટીમાં એસ્ટ્રોફિઝીક્સમાં પીએચડી કરવાનું નક્કી કર્યું. ત્યાં આ પીએચડી ડિગ્રી માટે એકતા આખી દુનિયામાંથી પસંદ થયેલા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી એક હતી. હવે પ્રશ્ન હતો રોચસ્ટર જવા માટે પૈસાનો. આવા સમયે તેમના મહોલ્લાના લોકો, જ્ઞાતિજનો, જે બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રહે છે એ એનઆરઆઇ માલિક સહિતના લોકોએ આ પરિવારને આર્થિક મદદ કરી અને પરદેશ જવા માટે જરૂરી નાણાની સમસ્યા ઉકેલાઇ.
રોચસ્ટર યુનિવર્સિટીમાં એકતાને પ્રસિદ્ધ અમેરિકન સંસ્થા નાસા દ્વારા અનુદાનિત પ્રોજેક્ટમાં કામ કરવાની તક સાંપડી. હવે તેમના રસપ્રદ સંશોધનની વાત શરૂ થાય છે. તેમણે હવાઇ લગાવવામાં આવેલા મસમોટા ટેલિસ્કોપ સેન્ટરમાં કામ કરવાની તક મળી. આવા ટેલિસ્કોપમાં કામ કરવા માટે તેનું એક રાતનું ભાડું જ એક કરોડ રૂપિયા જેટલું થઇ જાય છે ! તેમનું એક સંશોધન બે ગેલેક્સી અથડાયા બાદ તેની અસરો ઉપર આધારિત હતું. તેમના સંશોધનના અંતે એ ફલિત થયું કે, હાલના બ્રહ્માંડમાં જ્યારે બે ગેલેક્સીઓ અથડાય છે, ત્યારે નવા તારાઓનું સર્જન લગભગ બે ગણું વધી જાય છે. પરંતુ બ્રહ્માંડના બાળપણમાં, આવી અથડામણો થતી હતી ત્યારે તારાઓના સર્જનમાં ખાસ વધારો જોવા મળતો નહોતો.
છ વર્ષના સંશોધનને અંતે પીએચડીની ડિગ્રી મેળવ્યા પછી તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં પોસ્ટ ડોક્ટરર્સ રિસર્ચ ફેલોશીપ મેળવી ત્રણ સંશોધન કર્યું.

એ સંશોધન દરમિયાન તેમણે આકાશમાં બ્રહ્માંડના બાળપણ માં રહેલા ગેલેક્સીના છ નવા સમુહો પણ શોધી કાઢ્યા. આ નવા છ સમુહને તેમણે કર્મેન્દ્રીય મુજબ નામ આપ્યા છે. જેમાં દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ, સ્મૃતિ એવા નામો આપી ભારતનું ગૌરવ આકાશમાં સ્થાપિત કર્યું છે. તેમના આ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. લગલગાટ ૯ વર્ષ સુધી અમેરિકામાં સંશોધન કાર્ય કરી એકતા હવે સ્વદેશ પરત ફરી છે. તેમને ત્યાં સારી નોકરીની ઓફર હતી. પણ તે ભારત માટે કશું કરવાની મહેચ્છા ધરાવે છે. એટલે ભારત પરત ફરી છે. તેઓનો નાસાની સબજેક્ટ એક્સપર્ટ પેનલમાં સમાવેશ થયેલ છે. હાલમાં પણ તેમનું એસ્ટ્રો ફિઝિક્સમાં રિસર્ચ આણંદ થી ચાલુ છે.

 

LEAVE A REPLY