બોલીવૂડની જાણીતી કોમેડી સીક્વલ- ગોલમાલ-5ની તૈયારીઓ શરૂ થઇ ગઇ હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમાં અક્ષયકુમાર પણ વિલન તરીકે જોવા મળશે. આ સાથે અજય દેવગણ પણ હશે. ગોલમાલ સીરિઝનું દિગ્દર્શન રોહિત શેટ્ટીએ કર્યું છે અને તેની શરૂઆત 2006માં પ્રથમ ગોલમાલ ફિલ્મ સાથે થઈ હતી. જાણીતા કલાકારો અને સુપર કોમેડીને કારણે આ ફિલ્મ ઘણી લોકપ્રિય થઈ હતી. હવે આ ફિલ્મમાં એક મજબુત વિલનનું પાત્ર પણ ઉમેરવાની તૈયારી થઈ રહી છે.
અક્ષય કુમાર તેમાં જોડાવાથી ફિલ્મ વધુ મહત્વની બની ગઈ છે. અક્ષયકુમારે હેરાફેરી, હાઉસફુલ અને વેલકમ સહિત વિવિધ કોમેડી ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમાં અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે અને કુનાલ ખેમુ પણ હશે. તેમના સિવાય જોની લીવર, સંજય મિશ્રા, મુકેશ તિવારી અને અશ્વિની કલસેકર જેવા જાણીતા અને મજબુત કલાકારો પણ છે.
એવી પણ ચર્ચા છે કે શર્મન જોશી અને કરીના કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં અજય દેવગન અને અક્ષય કુમાર પણ છઠ્ઠી વખત સાથે જોવા મળશે, આ પહેલાં તેઓ સુહાગ, ખાખી, ઇન્સાન, સૂર્યવંશી અને સિંઘમ અગેઇનમાં સાથે કામ કરી ચુક્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગોલમાલ 5’માં કરીના કપૂર ખાન અને સારા અલી ખાન પ્રથમવાર એકસાથે જોવા મળે એવી શક્યતા છે. આ અંગે રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે, ‘મેં આ ફિલ્મ માટે કરીના અને સારાનો સંપર્ક કર્યો છે અને કુણાલ ખેમુ ફિલ્મના ક્રીએટિવ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે. જો બધું નિશ્ચિત થશે તો કરીના અને સારા પહેલી વખત સાથે કામ કરશે.’ રોહિત શેટ્ટીનું આયોજન ગોવામાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીને આવતા વર્ષના માર્ચ સુધી પૂર્ણ કરવાનું છે.














