બોલીવૂડના બે જાણીતા દિગ્દર્શકો સંજય લીલા ભણશાળી અને કેતન મહેતા ભારતના આધ્યાત્મિક ઇતિહાસની એક મહત્વપૂર્ણ ગાથા રજૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. સંજય લીલા ભણશાળીએ ‘જય સોમનાથ’ નામની ભારતીય સંસ્કૃતિ પર આધારિત એક મહત્વની ફિલ્મની જાહેરાત કરી છે, જેમાં પ્રખ્યાત દિગ્દર્શક કેતન મહેતા સહયોગ આપશે.
આ બંને પ્રભાવશાળી ફિલ્મકારો વચ્ચેના આ સંયોજનને રસપ્રદ માનવામાં આવે છે. ‘જય સોમનાથ’ની કથા ઈસ. 1025–1026ની છે, જ્યારે મહોમ્મદ ગઝનીએ ગુજરાતના સોમનાથ મંદિર પર આક્રમણ કરીને તેને લૂંટી લીધું હતું. આ ઘટના ભારતીય ઇતિહાસનો એક મહત્વનો અધ્યાય માનવામાં આવે છે. આ વર્ષે ગઝનીના આક્રમણ અને મંદિરના વિનાશને 1000 વર્ષ પૂર્ણ થાય છે, તેમજ તેની પુનઃસ્થાપનાની ગાથાને પણ યાદ કરવામાં આવી રહી છે.
સોમનાથ ભારતની અખંડ આત્માશક્તિ અને ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાનું પ્રતીક છે. આ ફિલ્મનો હેતુ ઇતિહાસના અધ્યાયના ઊંડા ભાવનાત્મક અને સાંસ્કૃતિક મહત્વને ધ્યાનમાં રાખીને, ભારતીય ઇતિહાસની મહત્વની ઘટનાને ફરી જીવંત બનાવી દર્શકોને આકર્ષવાનો છે. આ બંને ફિલ્મકારો ગુજરાત સાથે જોડાયેલા હોવાથી ફિલ્મમાં પ્રામાણિકતા અને ભાવનાત્મક ઊંડાણ પણ જોવા મળશે તેવી અપેક્ષા છે. ‘જય સોમનાથ’ ભણશાળી પ્રોડક્શન્સ અને માયા મૂવીઝના બેનર હેઠળ નિર્માણ પામશે, જેમાં કેતન મહેતા લેખક અને દિગ્દર્શક હશે, ફિલ્મ 2027માં રિલીઝ થશે.
આ વિશે સંજય લીલા ભણશાળીએ જણાવ્યું, ‘હું હંમેશા કેતન મહેતાની ફિલ્મોનો મોટો ચાહક રહ્યો છું. તેમની ‘મિર્ચ મસાલા’ મારી હંમેશાની ટોપ 10 મનગમતી ભારતીય ફિલ્મોમાં સ્થાન ધરાવે છે. અમે લાંબા સમયથી સાથે કામ કરવાનું વિચારી રહ્યા હતા. આ પ્રોજેક્ટ કંઈક ખાસ બનાવવા માટે શ્રેષ્ઠ તક લાગી.’
મહાશિવરાત્રી નિમિત્તે આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ ગુજરાત અને ભારતના સૌથી પવિત્ર તીર્થધામોમાં સ્થાન ધરાવતા કથા પર આધારિત છે. ભણશાળીના સોશિયલ મીડિયા પેજ પર તેનું પ્રથમ મોશન પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે અને તેની રિલીઝના વર્ષની જાહેરાત કરવામાં આવી હતી.













