ટીવીના લોકપ્રિય કોમેડી કૂકિંગ શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ સીઝન ૩’નો પ્રારંભ થઇ રહ્યો છે. થોડા સમય પહેલાં સંસાર છોડી સાધ્વી બની ગયેલી 90ના દસકાની વિવાદાસ્પદ અભિનેત્રી મમતા કુલકર્ણી તાજેતરમાં આ શોના સેટ પર જોવા મળી હતી.
આ સેટ પર રસોઈ અને કોમેડીનો સમન્વય જોવા મળ્યો હતો. મમતાએ આ શોના સેટ પર ફોટોગ્રાફર્સ સાથે વાતચીત પણ કરી હતી. મમતાએ આ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ‘હું ખૂબ ઉત્સાહિત છું. હું 25 વર્ષ પછી ટીવી પર આવી રહી છું. છેલ્લાં 25 વર્ષમાં હું ક્યારેય ટીવી પર આવી નથી. આ એક સારી તક છે.
અહીં હસવાનો મોકો મળે છે. લોકો બહુ ગંભીર બની ગયા છે, જીવન પણ ગંભીર થઈ ગયું છે. દરેક જગ્યાએ ગંભીરતા છે તો એમાં હસવું, રસોઈ બનાવવી અને ખુશ રહેવું એથી સારી વાત શું હોઈ શકે?’ મમતા તેના સમયની હોટ અભિનેત્રી હતી, પણ હવે તેણે ગ્લેમરવર્લડથી દૂર રહીને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે. હવે તે ‘મમતાનંદગિરિ’ તરીકે ઓળખાય છે અને એક નવી ઓળખ સાથે જીવન જીવી રહી છે.












