બોલિવૂડ અભિનેત્રી ગૌતમી કપૂર અને દિવ્યા દત્તા (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

જાણીતી ટીવી અભિનેત્રી ગૌતમી કપૂરે બે મહિના સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ગૌતમી સોશિયલ મીડિયા પર થતી અણગમતી ટિપ્પણીઓને કારણે ભારે માનસિક તનાવમાંથી પસાર થઈ રહી હતી અને આ કારણે જ તેણે બ્રેક લીધો છે.

આ અંગે ગૌતમીએ કહ્યું હતું કે ‘સોશિયલ મીડિયા મારા માટે નકારાત્મકતા ભરેલું સ્થળ બની ગયું હતું. સવારમાં જ ફોન ખોલતાં અશ્લીલ અને અપમાનજનક ટિપ્પણીઓ વાંચવા મળતી હતી. દિવસની શરૂઆતમાં જ એ અત્યંત અસ્વસ્થ કરનારું હતું.

જીવનના આ પડાવે મને કોઈના સર્ટિફિકેટ મેળવવાની જરૂર નથી અને હું મારા સ્થાને ખુશ છું. કેટલાક લોકો દ્વારા મારા પરિવાર અને નજીકના લોકો વિશે પણ અપમાનજનક ચર્ચા કરવામાં આવતી હતી. એક સવારે રીલ્સ ચેક કરતી વખતે મને એક અત્યંત અશ્લીલ અને આઘાતજનક ટિપ્પણી જોવા મળી, જેના કારણે મારી માનસિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી.

કેટલીક ટિપ્પણીઓ એટલી ખરાબ હતી કે તેની અસરને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. મેં જ્યારથી સોશ્યલ મીડિયા ચેક કરવાનું બંધ કર્યું ત્યારે અચાનક સમજાયું કે મારી પાસે હવે ઘણો વધારાનો સમય છે. હવે હું અંગત જીવન ખાનગી જ રાખીશ અને ત્યારે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ ફરી શરૂ કરી જ્યારે મારે મારા કામ વિશે કંઈ જણાવવું હશે.’