
યુકેના ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ સર હાર્વ સ્મિથ ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે સોમવાર, 23 માર્ચે નવી દિલ્હી આવી પહોંચ્યાં હતાં. આ યાત્રાનો ઉદ્દેશ્ય ઉભરતા સુરક્ષા પડકારો વચ્ચે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી સંબંધોને મજબૂત બનાવવાનો છે. તેમણે ભારતીય સમકક્ષ એર ચીફ માર્શલ એ પી સિંહ સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી અને એવું માનવામાં આવે છે કે પશ્ચિમ એશિયા કટોકટીની ચર્ચા થઈ હતી. યુકેના એર ચીફ માર્શલ સ્મિથે રોયલ એરફોર્સના પાઇલટ્સને તાલીમ આપવાના IAFના પગલાની પ્રશંસા કરી હતી.
ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનના જણાવ્યા અનુસાર આ મુલાકાત બંને દેશો વચ્ચે ખાસ કરીને હવાઈ ક્ષેત્રમાં, વિસ્તૃત તાલીમ, ઓપરેશનલ આદાનપ્રદાન અને વ્યૂહાત્મક જોડાણ દ્વારા સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકે છે.
ભારતીય એરફોર્સ તેમને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપ્યું હતું. એર ચીફ માર્શલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમણે ભારતીય એરફોર્સના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે પણ વાતચીત કરી હતી જેમાં સુરક્ષા જોખમો અને બંને એરફોર્સ વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ભારત અને યુકે સંયુક્ત તાલીમ કાર્યક્રમો અને શૈક્ષણિક આદાનપ્રદાન દ્વારા સહયોગને મજબૂત બનાવી રહ્યાં છે ત્યારે આ મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
નિવેદનમાં નોંધવામાં આવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં, જેના હેઠળ ભારતીય વાયુસેના બ્રિટિશ ફાસ્ટ જેટ પાઇલટ્સ માટેના મુખ્ય તાલીમ મથક રોયલ એર ફોર્સ વેલીમાં ત્રણ ફ્લાઇંગ પ્રશિક્ષકોને તૈનાત કરશે. એક ભારતીય પ્રશિક્ષક પહેલેથી જ RAF કોલેજ ક્રેનવેલમાં યોગદાન આપી રહ્યા છે.
આ પ્રસંગે સ્મિથે કહ્યું હતું કે મારા આદરણીય સાથીદાર અને સારા મિત્ર એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ દ્વારા આયોજિત ભારતની મુલાકાત લેવી અને સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવી એ એક સૌભાગ્યની બાબત છે. તાલીમ અને મિલિટરી ઓપરેશનમાં સહયોગમાં વધારો રોયલ એરફોર્સ અને ભારતીય વાયુસેના વચ્ચેના સ્થાયી સંબંધો તેમજ સુરક્ષા, સ્થિરતા અને ટેકનોલોજિક શ્રેષ્ઠતા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.













