મુંબઈમાં બુધવારે સેફ્રોનઆર્ટના સ્પ્રિંગ લાઈવ ઓક્શનમાં પ્રખ્યાત ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્માના તૈલચિત્ર 'યશોદા અને કૃષ્ણ'નું રેકોર્ડ રૂ.169.20 કરોડમાં વેચાણ થયું હતું. (Handout via PTI Photo)

મુંબઈમાં બુધવારે સેફ્રોનઆર્ટના સ્પ્રિંગ લાઈવ ઓક્શનમાં પ્રખ્યાત ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્માના તૈલચિત્ર ‘યશોદા અને કૃષ્ણ’નું રેકોર્ડ રૂ.169.20 કરોડમાં વેચાણ થયું હતું. આની સાથે આ પેઇન્ટિંગ હરાજીમાં વેચાયેલી આધુનિક ભારતીય કલાની સૌથી વધુ મૂલ્યવાન કલાકૃતિ બની હતી.

આ પેઇન્ટિંગે ગયા વર્ષે હરાજીમાં એમએફ હુસૈનના અનટાઇટલ્ડ (ગ્રામ યાત્રા)એ સર્જેલા રેકોર્ડને પણ તોડી નાંખ્યો હતો. હુસૈનની આ કલાકૃતિ ગયા વર્ષે રૂ.118 કરોડમાં વેચાઈ હતી.

રાજા રવિ વર્માની આ કલાકૃતિ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સાયરસ એસ પૂનાવાલાએ ખરીદી હતી. પૂનાવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ચિત્ર યશોદા અને કૃષ્ણને હસ્તગત કરવાની, તેનું સંરક્ષણ કરવાની અને તેની સંભાળ રાખવાની તક મળી તેનું મને ગૌરવ છે. આ રાષ્ટ્રીય ખજાનો સમયાંતરે જાહેર દર્શન માટે ઉપલબ્ધ કરાવવાને પાત્ર છે અને ભવિષ્યમાં આ સુવિધા ઊભી કરવાનો મારો પ્રયાસ રહેશે.

/* */

1890ના દાયકામાં તૈયાર કરાયેલા આ ચિત્ર બાળ કનૈયો અને તેમની પાલક માતા યશોદાના પૌરાણિક પાત્રો દ્વારા માતૃત્વના પ્રેમનું સૂક્ષ્મ અર્થઘટન રજૂ કરે છે. આ ચિત્રમાં યશોદાને ગાય દોહતા દર્શાવવામાં આવ્યાં છે, જ્યારે બાળ કનૈયો પાછળથી દૂધનો પ્યાલો લઇને ઊભો છે. આ પેઇન્ટિંગને વર્માના સૌથી મહત્વપૂર્ણ અને ભાવનાત્મક રચનાઓમાંની એક ગણવામાં આવે છે.

સેફ્રોનઆર્ટના પ્રમુખ અને સહસ્થાપક મીનલ વઝીરાનીએ જણાવ્યું હતું કે મહાન કલા કાલાતીત મૂલ્ય ધરાવતી હોય છે. રાજા રવિ વર્માની કૃતિનું રેકોર્ડબ્રેક વેચાણ ફક્ત કલા બજારની મજબૂતાઈ દર્શાવતું નથી. પરંતુ તે ભારતીય કલાના અત્યાર સુધીના સૌથી વધુ મૂલ્યવાન કૃતિ તરીકે એક નવો માપદંડ પણ સ્થાપિત કરે છે.