લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી (દયાભાભી) અને મયુર વાકાણી (સુંદર મામા)ના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું મંગળવાર, 7 એપ્રિલે નિધન થયું હતું. તેઓ 84 વર્ષનાં હતાં. તેઓ છેલ્લા કેટલાંક સમયથી બીમાર હતાં.
ભીમ વાકાણીના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી નાટ્યજગત અને બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ હતી.
નિધનના સમાચાર આપતાં સોશિયલ મીડિયા પર મયુર વાકાણીએ જણાવ્યું હતુ કે પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમ વાકાણી આજે સવારે અરિહંત શરણ પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા આજે બપોરે 2:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
ભીમ વાકાણી વર્ષોથી અભિનય ક્ષેત્રે સક્રિય હતાં. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેમણે અનેક નાટકોનું નિર્માણ, દિગ્દર્શન કર્યું હતું.દિશા વાકાણીએ તેના પિતાના માર્ગદર્શન હેઠળ ખૂબ નાની વયે રંગભૂમિ પર પગલું મૂક્યું હતું. મંગળફેરા અને પહેલો સગો જેવા નાટકોમાં તેમણે બાળ કલાકાર તરીકે નાના પાત્રો ભજવીને અભિનયની શરૂઆત કરી હતી.
ભીમ વાકાણી અભિનય જગતમાં એક જાણીતું નામ છે, જેમણે આમિર ખાનથી લઈને શાહરૂખ ખાન સુધી બધા સાથે સ્ક્રીન શેર કરી છે. તે આમિર ખાન સાથે લગાન, શાહરૂખ ખાન સાથે સ્વદેશ, લજ્જા અને વન્સ અપોન અ ટાઇમ ઇન ઇન્ડિયામાં કામ કરી ચૂક્યા છે.













