વ્યાજદર
RBI ગવર્નર સંજય મલ્હોત્રા (@reservebankofindia593/Yt via PTI Photo)

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ બુધવારે તેની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરને યથાવત રાખ્યાં હતાં. મઘ્યપૂર્વમાં છ સપ્તાહના યુદ્ધથી એનર્જીના સપ્લાય, ફુગાવો અને આર્થિક વૃદ્ધિ પરની અસરોની ચકાસણી કરવા માટે સેન્ટ્રલ બેન્કે થોભો અને રાહ જોવોની નીતિ અપનાવી હતી. રિઝર્વ બેન્કે મધ્યપૂર્વમાં યુદ્ધને કારણે આર્થિક વૃદ્ધિ ઘટવાની અને ફુગાવામાં વધારો થવાની પણ ચેતવણી આપી હતી.

સેન્ટ્રલ બેંકની છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિએ સર્વાનુમતે બેન્ચમાર્ક  રેટ 5.25 ટકા રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું. છેલ્લી નીતિવિષયક બેઠક પછી ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ વધી હોવાનો ઉલ્લેખ કરીને  RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટીએ “થોભો અને રાહ જુઓ” નો વિકલ્પ પસંદ કર્યો છે.

ભારતમાં હાલમાં ફુગાવો રિઝર્વ બેન્કના ટાર્ગેટથી નીચો છે, પરંતુ  ક્રૂડ તેલ બજારોમાં અસ્થિરતા અને બીજા રાઉન્ડની અસરોની શક્યતાને કારણે જોખમો વધ્યા છે. જોકે રિઝર્વ બેન્કે આર્થિક વૃદ્ધિના અંદાજમાં કાપ મૂક્યો હતો અને ચેતવણી આપી હતી કે ઊર્જાના ખર્ચમાં વધારાની સંપૂર્ણ આર્થિક અસર આગામી મહિનાઓમાં જોવા મળી શકે છે.

આરબીઆઇના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ 6.9 ટકા રહેવાનો અંદાજ છે. અગાઉ રિઝર્વ બેન્કે 7.6 ટકાનો અંદાજ આપ્યો હતો. ફુગાવાનો દર 2026-27માં 4.6 ટકા રહેવાનો અંદાજ છે, જે રિઝર્વ બેન્કના 1થી 6 ટકાના ટાર્ગેટ રેન્જની અંદર છે. 2025-26ના પ્રથમ 11 મહિનામાં ફુગાવો ફુગાવો સરેરાશ ધોરણે 1.95 ટકા રહ્યો હતો.

ગયા વર્ષે ફેબ્રુઆરીથી, સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કુલ ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, જેમાં ડિસેમ્બરમાં ક્વાર્ટર-પોઈન્ટનો ઘટાડો પણ સામેલ હતો.