
ગયા વર્ષે જુલાઈમાં હસ્તાક્ષર કરાયેલ ભારત-યુકે મુક્ત વેપાર કરાર (એફટીએ) મે મહિનાના બીજા અઠવાડિયાથી અમલમાં આવે તેવી શક્યતા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ભારત અને યુકેએ 24 જુલાઈ, 2025ના રોજ સર્વગ્રાહી આર્થિક અને વેપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કર્યા હતાં, જે હેઠળ 99 ટકા ભારતીય નિકાસ શૂન્ય ડ્યુટી પર બ્રિટિશ બજારમાં પ્રવેશ કરશે, જ્યારે ભારતમાં કાર અને વ્હિસ્કી જેવી બ્રિટિશ પ્રોડક્ટ્સ પરના ટેરિફ ઘટાડવામાં આવશે. બંને દેશોએ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન (DCC) કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે, જેથી ખાતરી કરી શકાય કે કામચલાઉ કામદારોએ બંને દેશોમાં સોશિયલ સિક્યોરિટી બોજો ઉઠાવવો પડશે નહીં.
અધિકારીએ જણાવ્યું હતું કે બંને કરારો એક સાથે અમલી બનવાની શક્યતા છે. CETA હેઠળ બંને દેશો 2030 સુધીમાં વેપારને બમણો કરવાનું લક્ષ્ય રાખે છે.ભારતે ચોકલેટ, બિસ્કિટ અને કોસ્મેટિક્સ સહિત વિવિધ ગ્રાહક માલ માટે પોતાનું બજાર ખુલ્લું મૂક્યું છે, જ્યારે ભારતને કાપડ, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, રમતગમતના સામાન અને રમકડાં જેવી પ્રોડક્ટ્સમાં વધુ માર્કેટ એસેસ મળશે. આ કરાર હેઠળ, સ્કોચ વ્હિસ્કી પરના ટેરિફ તાત્કાલિક ૧૫૦ ટકાથી ઘટાડીને ૭૫ ટકા કરવામાં આવશે, અને ૨૦૩૫ સુધીમાં તે વધુ ઘટાડીને ૪૦ ટકા કરવામાં આવશે.
ભારત ધીમે ધીમે ઉદારીકરણ કરાયેલી ક્વોટા સિસ્ટમ હેઠળ, પાંચ વર્ષમાં ઓટોમોબાઈલ પર આયાત જકાત ઘટાડીને 10 ટકા કરશે, જેનો વર્તમાન દર 110 ટકા જેટલો ઊંચો છે.











