સરકારે એર ઈન્ડિયા માટે બિડની સમય મર્યાદા બે મહિના લંબાવીને 30 જૂન નક્કી કરી છે.કોવિડ-19ને લીધે વૈશ્વિકસ્તર પર આર્થિક પ્રવૃત્તિઓ પર લાગેલી બ્રેકને લીધે સરકારે આ નિર્ણય લીધો છે.

એર ઈન્ડિયાની બિડ માટે બીજી વખત સમયસીમા વધારવામાં આવી છે. સરકારે ખોટ કરી રહેલી એર ઈન્ડિયામાં તેના 100 ટકા હિસ્સાનું વેચાણ કરવા 27 જાન્યુઆરીએ શરૂઆતી માહિતી જાહેર કરી હતી અને 17 માર્ચ સુધીમાં બિડ મંગાવ્યા હતા.

જોકે કોવિડ-19ને પગલે આ સમય સીમા લંબાવી 30 એપ્રિલ કરી હતી. એર ઈન્ડિયાના વેચાણ માટે એક્સપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) માટે એક જાહેરાત કરી રોકાણ અને સાર્વજિક સંપત્તિ સંચાલન વિભાગે કહ્યું છે કે વર્તમાન સ્થિતિ (કોવિડ-19)ને ધ્યાનમાં રાખી IB (ઈચ્છુક અરજદારો)ની અપીલને ધ્યાનમાં રાખી સમય સીમા લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત QIB ને સૂચિત કરવાની તારીખને 2 મહિના લંબાવી 14 જુલાઈ કરવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યુ છે કે અન્ય મહત્વની તારીખને લઈ કોઈ ફેરફાર કરવામાં આવે છે તો ઈચ્છુક બિડર્સને સૂચિત કરવામાં આવશે.