વડોદરા શહેરમાં ઓટોરીક્ષાઓના સી.એન.જી. રિફિલીંગ માટેના ફક્ત ત્રણ સેન્ટરોને કારણે રીક્ષાચાલકોને પડતી હાલાકીઓ તથા રિફિલીંગ સેન્ટરો પર ચલાવાતી મનમાની સામે આમ આદમી પાર્ટી દ્વારા શનિવારે ધરણાં યોજાયા હતા.
ગાંધીનગર ગૃહ ખાતે ધરણાં યોજતા આપના પદાધિકારીઓ તથા કાર્યકરોની રાવપુરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. શહેરમાં માત્ર ત્રણ સ્થળોએ ઓટોરીક્ષા માટેના ઇંધણ ગેસ રિફિલીંગ ની વ્યવસ્થા છે જ્યાં પૂરતા પ્રેશરથી તેમને ઇંધણ ગેસ મળતો નથી સાથે જ તેઓને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોય છે તથા ઇંધણ ગેસ સ્ટેશનોના સંચાલકો દ્વારા મનમાની કરવામાં આવતી હોવાની બાબતોને લઇને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં રાવપુરા પોલીસ દ્વારા ૧૫ લોકોને ડિટેન કરવામાં આવ્યાં હતા.