બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. (PTI Photo/Kunal Patil)

મુંબઈના કોર્ટના મેજિસ્ટ્રેટે શુક્રવારે ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સના કેસમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન તથા બીજા બે આરોપી અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચાની જામીન અરજી ફગાવી દીધી છે. હવે આર્યનના વકીલ જામીનની અરજી લઈને સેશન કોર્ટ જઈ શકે છે. આર્યન સહિત તમામ આરોપીઓને આર્થર રોડ જેલ મોકલી દેવાયા હતા. આર્યન છેલ્લા 7 દિવસથી એનસીબીની ધરપકડમાં હતો. બીજી ઓક્ટોબર, શનિવારના રોજ એનસીબી દ્વારા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ ન મળ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.

મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે જણાવ્યું હતું કે આર્યનની અરજી મેંટેનેબલ નથી. આ અરજીની સુનાવણી સેશન કોર્ટ કરશે. હવે આર્યન ખાન અને અન્ય તમામ આરોપીઓને જેલમાં આજે રહેવાનુ હશે. આર્થર જેલ તે જગ્યા છે, જ્યાં કસાબ, અબુ સાલેમ, સંજય દત્ત જેવા લોકોને રાખવામાં આવી ચૂક્યા છે.

આર્યન ખાન સાથે 5 કેદીઓને મુંબઈની સૌથી મોટી જેલ આર્થર જેલના બેરક નંબર 1 માં રાખવામા આવ્યા છે. આ જેલના પહેલા ફ્લોર પર બનેલી એક સ્પેશ્યલ ક્વોરન્ટાઈન બેરક છે. અહીં 5 દિવસ માટે આર્યન ખાન અને અન્યને ક્વારન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. કોઈને યુનિફોર્મ પહેરવાની જરૂર નથી પરંતુ તેમને અન્ય કેદીઓની જેમ જ ટ્રીટ કરવામાં આવશે. આર્યન અને અન્ય 5 કેદીઓને જેલનુ જ ખાવુ પડશે. ક્વોરન્ટાઈનમાં રહેતા જો કોઈને કોરોનાના લક્ષણ લાગે છે તો તેમનો ટેસ્ટ કરવામાં આવશે. આર્યન સહિત તમામ અન્યના કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

તમામે વેક્સિનના બંને ડોઝ લીધા છે. આ કારણે તેમને લગભગ 5 દિવસનુ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
આર્યનને મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ શિપમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં ભાગ લેવા બદલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.