ગુજરાતમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ ડેમ (જળ પરિયોજનાઓ)માં ૧૬ જુલાઈ સુધીમાં ૫૦.૯૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૬૯,૧૩૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૦.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૦૨,૩૯૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૪.૧૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં ૨૭ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૨૯ જળાશયો (સરદાર સરોવર સહિત)માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૮ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે, ૬૨ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૨૭ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૫ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૩ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૨ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.