દિલ્હી હાઇકોર્ટે સોમવાર, 16 ફેબ્રુઆરીએ ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને મોટી રાહત આપીને તેમની સજા ૧૮ માર્ચ સુધી સ્થગિત કરી હતી અને તેમને જેલમાંથી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. આની સાથે કોર્ટે યાદવને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા અને પરવાનગી વગર દેશ ન છોડવાનો આદેશ આપ્યો હતો.
રાજપાલ યાદવે ફરિયાદી મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના બેંક ખાતામાં 1.5 કરોડ રૂપિયા જમા કરાવ્યા કરાવ્યા પછી હાઇકોર્ટે આ આદેશ જારી કરતાં જણાવ્યું હતું કે “અમે તમને સજાનું વચગાળાનું સસ્પેન્શન આપી રહ્યા છીએ… તે આગામી સુનાવણીની તારીખ એટલે કે 18 માર્ચ સુધી છે,”
અગાઉ દિલ્હીની મેજિસ્ટ્રેરિયલ કોર્ટે એપ્રિલ 2018માં ચેકબાઉન્સ ચેકમાં રાજપાલને દોષિત જાહેર કરીને છ મહિનાની સજા ફટકારી હતી. આ સજાને સેશન કોર્ટે પણ માન્ય રાખી હતી. તેથી રાજપાલ અને તેની પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
ફિલ્મ ‘અતા પતા લાપતા’ રાજપાલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. રાજપાલે આ ફિલ્મ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ.5 કરોડ ઉધાર લીધા હતા. જો કે, ફિલ્મ નિષ્ફળ ગઈ અને રાજપાલને નોંધપાત્ર નુકસાન થયું હતું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે પૈસા પાછા માંગ્યા હતાં. વ્યાજ સાથે 5 કરોડ રૂપિયાની આ રકમ વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં અભિનેતાને બે વાર જેલ થઈ ચૂકી છે. ઘણી વખત મુદત લંબાવ્યા પછી, જ્યારે તે પૈસા ચૂકવી શક્યો નહીં, ત્યારે તેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી.
મુશ્કેલીના આ સમયમાં બોલિવૂડ સેલિબ્રિટી અને દિગ્ગજો રાજપાલની મદદે આવ્યા હતાં. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઇન્દરજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, કેઆરકે અને મીકા સિંહે મદદનો હાથ લંબાવ્યો હતો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ લોકોને રાજપાલને મદદ કરવા માટે આગળ આવવા અપીલ કરી હતી.












