ફાઈલ ફોટો

ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે હાલમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ભારતના વરિષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીને ફોર્મ પરત મેળવવા મદદ કરવા તૈયારી દર્શાવી છે. ગાવસ્કરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કોહલીને તે કેટલીક વિગતો જણાવી શકે છે, જેના દ્વારા તે પોતાની લય પુનઃ પ્રાપ્ત કરી શકે છે. જો મને કોહલી સાથે 20 મિનિટનો સમય ગાળવા મળે તો હું એ વાત કહી શકીશ જેનાથી કોહલીને ફોર્મ પરત મેળવવામાં મદદ મળશે. હું તેની ઓફ સ્ટમ્પ બહારના બોલ પર આઉટ થવાની નબળાઈનું સમાધાન આપી શકું છું.

એક ઓપનર તરીકે અને ઓફ સ્ટમ્પ લાઈનથી પરેશાન હોવાથી એવી કેટલીક બાબતો છે જે તમે કરો છો. જ્યારે બેટ્સમેન ફોર્મ વિહોણો હોય છે ત્યારે તે ઓફ સ્ટમ્પ પર આવતી દરેક બોલ ઉપર રન કરવા પ્રયાસ કરે છે. અહીંથી જ સમસ્યા શરૂ થાય છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કહોલી હાલ ફોર્મમાં નથી અને છેલ્લા ત્રણ વર્ષથી તેણે મેદાનમાં એકપણ સદી ફટકારી નથી. એક સમયે રન મશિન ગણાતો કોહલી મેદાનમાં બોલર્સ સામે સંઘર્ષ કરતો નજરે પડે છે. કોહલીના ફોર્મ અંગે અનેક લોકો ચર્ચા કરી રહ્યા છે. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે તો એટલે સુધી કહી દીધું કે જો વિરાટથી રન નથી થઈ રહ્યા તો તેને ટીમમાંથી પડતો મુકવો જોઈએ. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ મોટી ઈનિંગ રમી શક્યો નહતો. કોહલીએ એક ટેસ્ટ, બે ટી20 અને બે વન-ડે મેચમાં છ ઈનિંગમાં 11, 20, 1, 11, 16 અને 17 એમ કુલ 76 કર્યા હતા.