16 feet tall statue of Hanuman ji unveiled in Somnath
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે રવિવારે યાત્રાધામ સોમનાથમાં સમુદ્રદર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.. (PTI Photo)

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે રવિવારે યાત્રાધામ સોમનાથમાં સમુદ્રદર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે સમુદ્રદર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્દઘાટન પણ કર્યુ હતું.

ગૃહ પ્રધાન સોમનાથ મહાદેવના સોમગંગા ડિસ્ટ્રિબ્યુશન ફેસિલિટીનું પણ ઉદઘાટન કર્યું હતું. તેનાથી સોમનાથ મંદિરને ચડાવવામાં આવેલા ફિલ્ટર ગંગાજળ પેકેજ્ડ બોટલમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે આપવામાં આવશે. ગૃહપ્રધાને મહાદેવને ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કર્યું હતું. સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તેમના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી.

અમિત શાહે મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી શ્રી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રોજેક્ટ્સનો પણ પ્રારંભ કરાવ્યો હતો. શ્રી સોમનાથના રોજેરોજના લાઈવ દર્શન આરતી તેમજ સાઈટ સીન પ્રવાસન સ્થળો હેરીટેજ વોક ટેમ્પલ વોકની પણ માહિતી મળશે. આ નવિન વેબ પોર્ટલ પણ અમિત શાહે લોંચ કર્યુ હતું.

ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ નિર્માણ થયેલા સમુદ્ર દર્શન પથની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી રૂપિયા ૧.૮૦ કરોડના ખર્ચે શ્રી મારુતિનું હાટ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦x૧૦ ફૂટની ૨૬૨ દુકાનો બનાવી સ્થાનિક હોકર્સને ફાળવવામાં આવી છે. વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર ૧૬ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર શ્રી હનુમાનજીની ૧૬ ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા સોમનાથના બીચની ભવ્ય ઓળખ બનશે.

ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવને ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કર્યું હતું.. (ANI Photo/ Amit Shah twitter)

સોમનાથમાં ઓનલાઇન આરતી માટે નવા પોર્ટલનો પ્રારંભ

ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ ટ્રસ્ટના નવા વેબ પોર્ટલને લોન્ચ કર્યું હતું. તેનાથી મંદિરમાં ઓનલાઇન આરતી, ડોનેશન, રૂમ બુકિંગ અને દરરોજ સોમનાથ મહાદેવના લાઇવ દર્શનની સુવિધા મળશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન માટે નવી વેબસાઈટના લોન્ચિંગથી યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિનું રજીસ્ટ્રેશન અતિથિ ગૃહ રૂમનું બુકિંગ ડોનેશન સોમેશ્વર મહાપૂજા ધ્વજા પૂજા રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઇન બુક કરાવી શકશે. શ્રી સોમનાથની પ્રસાદી તેમજ શ્રી સોમનાથ મંદિરમાં પૂજા કરાયેલા ચાંદીના સિક્કા શ્રી પાર્વતીમાતાને ચડાવેલ સાડી મહાદેવને શૃંગાર કરેલ વસ્ત્રો તથા મંદિર પર ધ્વજા રોહણ કરાયેલ ધ્વજા પણ વસ્ત્ર પ્રસાદી રૂપે ઓનલાઇન મંગાવી શકશે તેમજ સ્નેહી સંબંધીને પણ મોકલાવી શકાશે.

LEAVE A REPLY

four × 1 =